Friday, 30 November 2012

તલાશ: ક્યારેક મી. પર્ફેક્ટ પણ ભૂલ ખાઈ શકે!


        

        

         માણસના જીવનમાં કેટકેટલી ઘટનાઓ બનતી હોય છે. ક્યારેક કોઈકના જીવનમાં બનતી ઘટના એકદમ સામાન્ય હોય છે તો ક્યાંક બનતી ઘટના જીવનમાં ઝંઝાવાત ફેલાવવા માટે પૂરતી હોય છે. લેખકનું કામ છે આવી અલગ અલગ ઘટનાઓને એકઠી કરીને એક વાત બનાવવી. અલગ અલગ ઘટનાઓ એક ભાગમાં જોડાય ત્યારે આપણે એને વાર્તા કહીએ છીએ. ફિલ્મની ભાષામાં કહીએ તો સ્ટોરીલાઇન. આ સ્ટોરીલાઇનને સ્ક્રીનપ્લેમાં ગોઠવવામાં આવે અને પછી સંવાદ એટલે કે ડાયલોગથી સજાવવામાં આવે. ગમે તેટલા સારા ડાયલૉગ હોય પણ જો ફિલ્મની વાત જ ગળે ઉતરે એવી ન હોય તો? વાર્તા પસંદ કરવામાં આમીર ખાનનો કોઈ જોટો જ ન મળે. આમ પણ આમીર જ્યારે ફિલ્મ કરતો હોય ત્યારે તો એક એક વાત પર એ નજર રાખે. આ કારણોથી જ આમીરને મી. પર્ફેક્ટનીશ કહેવામાં આવે છે પણ ’તલાશ’ની વાર્તા માટે એટલું તો કહેવું જ પડે કે ક્યારેક મી. પર્ફેક્ટ પણ ભૂલ ખાઈ શકે!

        
       રીમા કાગ્તી એટલે ઝોયા અખ્તરની ખાસ મિત્ર. આ પહેલા ’હનીમૂન ટ્રાવેલ્સ પ્રા.લી’ ડિરેક્ટ કરી ચૂકી છે. આ વાર્તા આમ તો વર્ષો પહેલા ઝોયા અને રીમા બંને મળીને લખી ચૂક્યા હતા. રીમાના કહેવા મુજબ આ ફિલ્મ માટે મુખ્યપાત્રની પસંદગીમાં સૌથી પહેલો વિચાર આમીર ખાનનો જ હતો પણ આમીર એ વખતે ’ગઝની’ માટે પોતાનો સમય ફાળવી ચૂક્યો હતો. આ પછી રીમા સૈફ અલી ખાન પાસે ગઈ પણ સૈફ પણ પોતાના કામમાં વ્યસ્ત હતો. આમીર ’ગઝની’ પછી ઘરની ફિલ્મ ’ધોબીઘાટ’માં ધોબીપછાડ ખાવાની તૈયારીઓમાં હતો એટલે ફરી આ ફિલ્મ માટે ’ના’ આવી. આમ પણ ફિલ્મ ચાલવા માટે યોગ્ય કલાકારની પસંદગી એ સૌથી મહત્વનું પાંસુ છે. હમણાં જ એક ફિલ્મ શૂટ લેવલ પર છે ’શોભાઝ સેવન નાઇટ્સ’ જે ફિલ્મ ગ્રેટ કોલમીસ્ટ શોભા ડે ના જીવન પર આધારિત છે. આ માટે ખૂબ બધી તપાસના અંતે રવિના ટંડનને શોભા ડે તરીકે રજૂ કરવામાં આવી છે. ફરી મૂળ વાત પર પાછાં ફરીએ. આમીર ’ધોબીઘાટ’ પછી ફ્રી થયો અને રીમાને સ્ટોરી ટેલીંગ માટે બોલાવવામાં આવી. આમીરને વાર્તા પસંદ આવી અને પછી શરૂ થયો પસંદગીનો દોર. ફિલ્મમાં થોડા ઘણા ફેરફાર પણ કરવામાં આવ્યા. ડાયલૉગ લખવાનું કામ ફરહાન અખ્તરને સોંપવામાં આવ્યું અને એમ છતા સંતોષ ન થતા વધારાના ડાયલૉગ અનુરાગ કશ્યપ પાસે લખાવવામાં આવ્યા. સૌથી મહત્વની વાત તો એ રહી કે પૂરેપૂરી ટીમ નક્કી થયા પછી બધા પાસે નોન-ડીસક્લોઝર એગ્રીમેન્ટ સાઇન કરાવવામાં આવ્યા જેથી ફિલ્મની વાર્તા ક્યાંય લીક ન થઈ જાય.


        આમીરે આ ફિલ્મ માટે તમામ મહેનત કરી. જેમ કે એક્ટીંગના ખાસ વર્કશોપ ગોઠવવામાં આવ્યા. બધા જ આર્ટીસ્ટ્સ ફરજિયાત આ વર્કશોપ એટેન્ડ કરતા. આમીર પોતે સ્વીમીંગ જાણે જ છે છતા આ ફિલ્મ માટે એક ખાસ સ્વિમીંગ કોચ રાખીને અંડર વોટર સ્વીમીંગ પ્રેક્ટીસ કરી અને એ પણ પૂરા ત્રણ મહીના. આ દ્ગશ્યો ભારતમાં ફિલ્માવવામાં આવ્યા પણ આમીરને એ યોગ્ય ન લાગતા અંડર વોટર દ્ગશ્યોને વોટર સ્ટુડિયો લંડન ખાતે ફરીથી શૂટ કરવામાં આવ્યા. ફિલ્મ કલાકારો ગમે તેટલી વાત કરતા હોય પણ અંતે તો ધાર્મિક જ હોય છે. જેમ કે હમણાં જ અનુપમ ખેર, હ્રિતેષ દેશમુખ, રવિના ટંડન, અનીલ કપૂર અને સોનમ કપૂર દલાઈ લામાના આશીર્વાદ લેવા પહોંચી ગયા હતા અને બધે જ દલાઈ લામાની મીઠી ભાષા, જ્ઞાન વિગેરેના વખાણ કરતા ફરે છે. આ રીતે જ આ ફિલ્મ રજૂ થતા પહેલા આમીર એની મમ્મીને લઈને હજ પઢી આવ્યો. આ ફિલ્મ આમીરના જતા પહેલા રીલીઝ કરવાનું પ્લાનિંગ હતું પણ અટકાવી દેવામાં આવ્યું. આ ઉપરાંત સી.આઇ.ડી. જેવી ખરાબ સિરિયલમાં પણ એક પાત્ર તરીકે આવીને ફિલ્મનું પ્રમોશન કરી ગયો. આમીરને સી.આઇ.ડી. માં જોઈને એક વિચાર તો આવ્યો જ ’દયા કુછ તો ગરબડ હૈં’


        ’તલાશ’ ૨૦૧૨ની સૌથી મોસ્ટ અવેઇટેડ ફિલ્મ હતી. આ પહેલા જેમ ’ડોન ૨’ અને ’એક થા ટાઇગર’ માટે એક હાઇપ ઊભો થયો હતો એમ જ આ ફિલ્મ માટે પણ લોકો રાહ જોઈને બેઠાં હતા વળી આ પહેલા બે હથોડા ફિલ્મ્સ ’સન ઑફ સરદાર’ અને ’જબ તક હૈં જાન’ હમણાં જ આવી અને ગઈ ત્યારે ફિલ્મ પ્રેમીઓને ’તલાશ’ માટેની અપેક્ષા વધી ગઈ હતી. ક્રીટીક્સે ગઈ કાલે રાતે જ ફિલ્મ જોઈ હશે એટલે રીવ્યુઝ ફટાફટ છપાવવા લાગ્યા. ઓવરઓલ બધા જ લોકો એક ક્લાસ ફિલ્મ કહી રહ્યા છે પણ ફિલ્મ જોઈને મારુ મંતવ્ય નોખુ રહ્યું. ફિલ્મમાં દરેક બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. જેમ કે ફિલ્મની સિનેમેટોગ્રાફી કે. યુ. મોહનનની છે. જે રીતે રાતના દ્ગશ્યો, મુંબઈના રોડના દ્ગશ્યો, ફિલ્મના કટ્સ, અંડર વોટર સિનેમેટોગ્રાફી બધું જ અદભૂત. આ રીતે જ એક પત્ની તરીકે રાણી મુખર્જી માટે ’અય્યા’ના અતિ ખરાબ રોલ પછી કમબેક કરી શકી છે. કરીના કપૂર અનુભવના અંતે બનેલી હીરોઈન છે એટલે પોતાનું કામ એકદમ સચોટ રીતે રજૂ કરી શકી છે. નવાઝુદ્દીન સીદ્દીકી માટે તો કંઈ કહેવું જ ન પડે. નવાઝુદ્દીનનું ફિલ્મમાં લંગડાનું પાત્ર છે. ભલભલાં મંજાયેલા આર્ટિસ્ટ પણ થાપ ખાઈ જાય પણ નવાઝુદ્દીન જે રીતે પગને લંગડાવે છે એ રીતે જ ભાગવાનું હોય કે ફિલ્મનું કોઈ પણ દ્ગશ્ય હોય એક જ સ્ટાઇલથી પગને લંગડાવે છે. રાજકુમાર યાદવ આમીરના સાથી ઇન્સ્પેક્ટરનું પાત્ર ભજવે છે. આ છોકરામાં ગજબ ટૅલેન્ટ છે. પોતાનું પાત્ર ગમે તે હોય એ યોગ્ય રીતે રજૂ કરી શકે છે. આત્માઓ સાથે વાત કરતી સ્ત્રીના બહુ નાના પાત્રમાં સેનાઝ પટેલ છે. અન્ય ફિલ્મ્સની જેમ સેનાઝને કોઈ ખાસ ડ્રેસિંગ, કોઈ ખાસ સાધન સામગ્રી કે કોઈ પણ રીતે અલગ પાડી વિચિત્ર દેખાડવામાં નથી આવી, કદાચ એટલે જ નાના પાત્રમાં પણ સેનાઝ ધ્યાન ખેંચે છે.


        આટલું બધું સારુ હોવા છતા ફિલ્મને ખરાબ કેમ કહી શકાય? ફિલ્મને ખરાબ નહીં પણ આમીર પાસેથી કોથળા માંથી બિલાડાની અપેક્ષા ન જ રાખી શકાય! જ્યારે મર્ડર મીસ્ટ્રી જેવો સામાન્ય વિષય આમીર ખાન પસંદ કરતો હોય ત્યારે અચાનક જ ફિલ્મને બીજે રસ્તે વાળીને ભૂત પ્રેતની વાતો સાથે જોડી દેવામાં આવે તો કેવું લાગે? આ એક ઉપરાંત એક વાત સમજી જ ન શકાણી કે ડિરેક્ટરે મુખ્ય શું બતાવવું હતું? શું ફિલ્મમાં ડિરેક્ટર આમીર ખાનની માનસિક અસમતુલા બતાવવા માગતી હતી? એક મર્ડર મીસ્ટ્રીને સોલ્વ કરતો એક ડી.સી.પી. દેખાડવા માગતી હતી? ભૂતપ્રેતની વાર્તા બતાવવા માગતી હતી? આત્માઓને ન માનતો આમીર ખાન આત્માને માનવા લાગે એ બતાવવા માગતી હતી? પતિ-પત્ની વચ્ચેના સંબંધોમાં પડેલી તિરાડ બતાવવા માગતી હતી? કે પછી રેડ લાઇટ એરિયામાં છાશવારે બનતી ઘટના બતાવવા માગતી હતી? ફિલ્મ બે છેડેથી ચાલે છે. એક તરફ આમીર ખાન એક હાઇ પ્રોફાઈલ એક્ટરના એક્સીડન્ટની તપાસ કરી રહ્યો છે અને બીજી તરફ આમીરની પત્ની આત્મા સાથે વાતો કરી રહી છે. આખરે બંને વાતોને એક તો થવું જ હતું માટે બીજી તરફ ચાલતી ઘટના એબ્રરપ્ટલી તમને ડીસ્ટર્બ કરતી રહેશે. ગમે તેટલું સસ્પેન્સ છુપાવવાની કોશિશ કરી છે પણ બુધ્ધીશાળી પ્રેક્ષક ઇન્ટરવલથી જ સમજવા લાગે છે કે અહીં કોથળા માંથી બિલાડું જ નીકળવાનું છે. ખૂબ મહેનત, ખૂબ સારી એક્ટીંગ, ખૂબ સારી સિનેમેટોગ્રાફી અને અદભૂત કહી શકાય એવું મ્યુઝિક વચ્ચે એક ખૂબ સારી વાર્તા હોત તો ફિલ્મને ચાર ચાંદ લાગી જાત. જો કે આમીરની કોઈ પણ ફિલ્મ હોય ખોટનો તો પ્રશ્ન જ ઊભો નથી થતો. આ ફિલ્મના નિર્માણનો કુલ ખર્ચ ૪૦ કરોડ થયો જ્યારે પહેલાથી જ રીલાયન્સ એન્ટર્ટાઇન્મેન્ટને ૯૦ કરોડમાં રાઇટ્સ વેચી દેવામાં આવ્યા છે. બોક્ષ ઓફીસ પર ફિલ્મ હીટ જ રહેશે પણ એક ઉમદા દર્શક તરીકે કદાચ તમે દુ:ખી થઈ શકો



પેકઅપ:
"તું છોકરી થઈને દારુ પીવે છે?"
"તો શું બે પેગ માટે જેન્ડર ચેઇન્જ કરાવું?" 

Friday, 23 November 2012

લાઇફ ઑફ પાઇ: અનોખી વાત, અદભૂત ફિલ્મ


        

 આમ જુઓ તો ફિલ્મ એ વાસ્તવિક જિંદગીનો જ એક ભાગ પણ મોટાભાગે એવું બને છે કે વાસ્તવિકતા સ્વીકારવામાં આવતી નથી. ઘણી વાતો એવી હોય કે જે સીધી અને સાચી હોવા છતા ગળે ઊતરતી નથી પણ જો એ જ વાતમાં મોણ નાખીને રજૂ કરવામાં આવે તો ચોક્કસ પણે સ્વીકારવામાં આવે. છેલ્લે લગભગ બધા લોકોએ વખાણેલી ફિલ્મ ’ઓહ માય ગોડમાં પણ મૂળ વાત તો ભગવાનની જ પણ સીધે સીધા દંભની વાત. ’લાઇફ ઑફ પાઇ એટલે ભગવાનની જ વાત પણ આડકતરી રીતે થતી ભગવાનની વાત. એટલો મોટો કટાક્ષ કે બહુ ઓછું ભારતીય ઑડિયન્સ સમજી શકશે કે સ્વીકારી શકશે. એમ છતા પણ એટલું તો સ્વીકારવું જ પડશે કે એક બેજોડ ફિલ્મ એટલે ’લાઇફ ઑફ પાઇ

        ફિલ્મ માટેનો વિષય ક્યાંય અને ક્યાંયથી અવતરતો હોય જ છે અને એમાં પણ નોવેલ એટલે ફિલ્મ માટે એડપ્ટ કરવાનો સૌથી શ્રેષ્ઠ ઉપાય. યાન માર્ટેલે ૨૦૦૧માં ’લાઇફ ઑફ પાઇ નામની નોવેલ પબ્લીશ કરી હતી જેને યુ.કે.ના પાંચ પબ્લીસીંગ હાઉસે આ નોવેલને રીજેક્ટ કરી હતી. આ પાંચ માંથી એક પણ પબ્લિક હાઉસને વાતમાં દમ નહોતો લાગ્યો અને આ નોવેલને છાપવી એટલે સમયનો બગાડ લાગ્યો હતો. આખરે નોફ કેનેડાએ આ નોવેલનો સ્વીકાર કર્યો અને પબ્લીશ કરી. આ પછીના વર્ષમાં આ નોવેલ યુ.કે.માં જ બૂકર્સ પ્રાઇઝ જીતી. આ પછી તો સાઉથ આફ્રિકા, ફ્રાન્સ જેવા ઘણા દેશોમાં પોતાનો ઘંટો વગાડી ચૂકી. જો કે લેખકનું માનવું છે કે આ બૂક લખવા માટે પ્રેરણાશ્રોત બૂક બ્રાઝીલીયન લેખક મોસીર સીલરની બૂક ’મેક્સ એન્ડ કેટ્સ રહી છે જેમાં એક વ્યક્તિ પેસેફીક મહાસાગર પાર કરે છે.


        ફિલ્મ આમ તો અંગ્રેજી ફિલ્મ જ છે પણ નસીબ જોગે વાત એક ભારતના છોકરાની છે એટલે કલાકારો તો ભારતના જ લેવા પડે. ફિલ્મ જે રીતે હિસ્સામાં વહેંચાયેલી છે જેમાં મુખ્ય પાત્રને અલગ અલગ ચાર ઉમરમાં વહેંચવામાં આવી છે. ફિલ્મના આ મુખ્ય પાત્રનું નામ પીસીંગ મોલીટોર પટેલ છે જે નામ ન ગમતા હીરો એક નવી વાત લઈને પોતાનું નામ ’પાઇ કરે છે. વાત જૂના જમાનાની છે. અને વર્ષોની છે. આ ચાર અલગ અલગ પાત્રો અનુક્રમે ગૌતમ બેલુર, આયુષ ટંડન, સુરજ શર્મા અને ઇરફાન ખાને ભજવ્યા છે. ફિલ્મ જ્યારે સર્વોપરી અને શ્રેષ્ઠ બનાવવી હોય ત્યારે જો કાસ્ટિંગ પરફેક્ટ ન હોય તો ફિલ્મ મારી જાય છે. તમને આશ્ચર્ય થશે કે ફિલ્મનું છેલ્લેથી બીજુ પાઇનું પાત્ર ભજવતો સુરજ શર્મા ૩૦૦૦ ઓડીશન આપી ચૂકેલા લોકો માંથી પસંદગી પામ્યો છે. ફિલ્મની શરૂઆત ઇરફાન ખાન જ કરે છે અને પછી વાર્તા ફ્લેશ બેકમાં ચાલે છે. ઇરફાન ખાને હમણાં જ પોતાના એક ઇન્ટર્વ્યૂમાં એક સરસ વાત કરી કે ’મને ભલે બધું મોડું મળે છે પણ સારુ મળે છે. લોકો હજુ સો કરોડની ક્લબની વાતો કરે છે જ્યારે હું તો આઠસો કરોડની ક્લબનો સભ્ય છું વાત પણ સાચી છે આ ફિલ્મનું બજેટ ૧૨૦ મીલિયન યુ.એસ. ડોલર છે એટલે લગભગ ૮૦૦ કરોડ. જો કે ઇરફાન ખાસ ડિરેક્ટર્સનો ખાસ પસંદગીનો સ્ટાર રહ્યો છે. અંગ્રેજી ફિલ્મમાં કામ કરવાનો આ એનો કંઈ પહેલો અનુભવ નથી. આ પહેલા ’ધ વોરિયર, ’અ માઇટી હાર્ટ, ’સ્લમ ડોગ મીલિયોનર અને નાનકડા રોલ માટે ’અમેઝીંગ સ્પાઇડરમેન પણ ખરી. તબુને પણ આ ફિલ્મમાં કાસ્ટ કરવામાં આવી છે. તબુના મતે એને અલગ અલગ પ્રકારના ચેલેજીંગ રોલ્સ મળતા રહ્યા છે તો પણ વસવસો તો ઠાલવે જ છે કે ’હું મસાલા ફિલ્મ્સને મીસ કરુ છું એક ગજબ રીતે ઊભરી રહેલો કલાકાર એટલે અલી હુસેન. અલગ દેખાવ, પ્રભાવશાળી વ્યક્તિત્વ અને અભિનયની પકડ અલી હુસેનને ક્યાં પહોંચાડશે એ તો ભવિષ્ય જ કહેશે પણ આ ફિલ્મમાં પાઇના પિતાના પાત્રમાં આથી સારુ પર્ફોર્મ્ન્સ વિચારી જ ન શકાય.



        ભારતીય કલાકારો અંગ્રેજી ફિલ્મમાં કામ કરે અને અન્ય દેશના લેખકો ભારતની પૄષ્ઠભૂમીનો સ્વીકાર કરે એ અત્યારના સમયમાં સામાન્ય વાત છે પણ અહીં એક વાત યાદ કરી લઈએ કે એક વખતના ધુરંધર કલાકાર ’પ્રાણ પણ અંગ્રેજી ફિલ્મમાં કામ કરી ચૂક્યા છે. મારા જેવા ફિલ્મના શોખીન લોકોએ થોડું કઠ્ઠણ હ્રદય કરી લેવું પડશે કેમ કે પ્રાણની ઉમર અત્યારે ૯૨ વર્ષની છે અને છેલ્લા ત્રણ દિવસથી તેઓ હોસ્પિટલમાં છે. થોડી આડા પાટે વાત કરી લઈએ. બહુ જુજ ફિલ્મમાં કામ કરી ચૂકેલ આશિષ ચૌધરીની બહેન મુંબઈ બ્લાસ્ટમાં પોતાની બહેન ગુમાવી ચૂક્યો હતો. કસાબને ફાંસી અપાતા આશિષ ખુશ થયો હતો અને કહ્યું હતું કે ’હવે મારી બહેનની આત્માને શાંતિ મળશે. એ વાત અલગ છે કે હંમેશા વિવાદાસ્પદ નિવેદનો, ગાળો અને અશ્લીલ વાતો કરતા રામગોપાલ વર્મા એ કહ્યું કે ’કસાબને ફાંસી એટલે ફોરપ્લે વગરનું ઓર્ગેઝમ

        ચાલો ફરી ફિલ્મની વાત પર પાછાં ફરીએ. ફિલ્મને ૩ડીમાં બનાવવામાં આવી છે, કદાચ બધી જ પ્રકારના ઑડિયન્સ પર પકડ જમાવવા માટે પણ મારો અભિપ્રાય સ્પષ્ટ પણે એવું કહે છે કે જો ફિલ્મ ૩ડીમાં નહીં જુઓ તો પણ તમે કંઈ ખાસ ગુમાવશો નહીં. કેમ કે ફિલ્મનું હાર્દ એ ફિલ્મની વાર્તા છે. ફિલ્મની સૌથી નોંધનીય વાત એ છે કે લગભગ ૮૦% ફિલ્મ એક પાત્ર એટલે સુરજ શર્મા-પાઇ અને એક વાઘ જેનું નામ છે ’રીચર્ડ પાર્કર પર ફિલ્માવવામાં આવ્યું છે. માત્ર એક પાત્ર અને ખૂબ જ ઓછા ડાયલૉગ સાથે આટલું લાંબું ફિલ્મ ખેંચી શકાય? પણ તમને એક મીનીટ માટે પણ મહેસુસ નહીં થવા દે કે તમે બોર થાઓ છો. એક એક દ્ગશ્ય તમને પકડી રાખશે. દરિયામાં ઉઠતા તોફાનો વચ્ચે તમે પણ ફંગોળાશો. ટેક્નિકની વાત કરીએ તો મોટાભાગે એનીમેશનથી બનેલુ ફિલ્મ છે. અંગ્રેજી ફિલ્મ્સ હવે ટેબલ મેડ ફિલ્મ્સ જ બની ગઈ છે તો પણ આ ફિલ્મમાં અતિશય સરસ એનીમેશન છે. આ ફિલ્મના એનીમેશનની ખૂબી એ છે કે ફિલ્મનું એક મહત્વનું પાત્ર એટલે કે વાઘ આખેઆખો એનીમેટેડ વાઘ છે!


        ફિલ્મની વાર્તા ત્રણ ભાગમાં વહેંચાયેલી છે. પહેલો ભાગ બાળક પાઈને અને થોડો મોટો થયેલો પાઈ બતાવે છે જેની અંદર ધર્મના બીજ વાવવામાં આવે છે. બાળક માટે બધા જ ભગવાન તરફની લાગણીઓ સરખી છે. હિન્દુ, ખ્રિસ્તી કે ઇસ્લામ ત્રણેય ધર્મ પ્રત્યે સમભાવ રાખતું બાળક જાણતું નથી કે ક્યા ભગવાન, અલ્લાહ કે ગોડ એની સાથે છે. આ પછીનો તબક્કો છે ૧૭ વર્ષના પાઇનો. ૧૭ વર્ષનો પાઇ એક છોકરી સરવંથી સાંઇનાથના પ્રેમમાં પડે છે. આ દરમિયાન જ પુરી ફેમિલી એક નિર્ણય લે છે કે બધા કેનેડા જતા રહીએ. પાઇના પિતા એક ઝુના માલિક છે. બધા જ પ્રાણીઓને લઈને એક જહાજમાં કેનેડા તરફ રવાના થાય છે. રસ્તામાં ખતરનાક તોફાન આવે છે. આ તોફાનમાં પાઇ એક બોટ પર પોતાનો જીવ બચાવવા આવે છે. આ બોટ પર તેની સાથે છે ઝુના પ્રાણીઓ. એક પગ તૂટેલ ઝિબ્રા, એક લોમડી, એક ફીમેલ ચિંપાજી અને એક વાઘ. અહીંથી જિંદગી બચાવવાના ખેલ શરૂ થાય છે. આ દરમિયાન છેલ્લે વધેલ વાઘ અને પાઇ કેટલી બધી તકલીફ પછી મેક્સીકોના કિનારે પહોંચે છે. વાત અહીં પૂરી નથી થતી. ફિલ્મનો જે હાર્દ છે એ છેલ્લે એક લેખકને આ વાત કરતો ઇરફાન ખાન અંતે કહે છે ત્યારે તમે આફરીન પોકારી જશો. પાઇના મગજમાં રહેલા ભગવાન, અલ્લાહ કે ગોડ શું છે એ જાણી જશો. જો તમે ફિલ્મનો અંત સમજી શકશો તો તમને જરૂર થશે કે આથી સરસ વાત જ ન હોઈ શકે. સત્ય અને હકીકત વચ્ચેનો ભેદ માત્ર ટૂંકા શબ્દોમાં અને ટૂંકી વાતમાં અંતમાં રજૂ થાય છે. તમે ભારે હ્રદયે છેલ્લે આખી વાર્તાને મુલાવતા બહાર નીકળશો એની મને પૂરી ખાતરી છે. 



પેકઅપ:
"ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કેટલા મહાપુરુષ પેદા થયા?"
"એક પણ નહીં, બધા જ બાળકો પેદા થયા છે"

Wednesday, 14 November 2012

ઇસ દિવાલી દોનો બેકાર અન ઓફ સરદાર & જબ તક હૈં જાન



          પરિવર્તન એ પ્રકૃતિનો નિયમ છે. બોલીવુડ તો એમાં પણ ખાસ પરિવર્તન લાવવા માટે સતત પ્રયત્નશીલ રહ્યું છે. પોતાની ઇમેજને ભૂંસવા ગમે તે હીરો કે હીરોઇન પોતાનામાં મન ફાવે તેવા ફેરફારો લાવે છે પછી એ યોગ્ય હોય કે અયોગ્ય. જેમ કે ફરહાન અખ્ખતરે પોતાની ઇમેજ ચેઇન્જ કરવા ’દિલ્હી ૬ના ડિરેક્ટરરાકેશ ઓમપ્રકાશ મહેરા ફિલ્મ ’ભાગ મીલ્ખા ભાગ માં ભારતીય એથલેટ ’મીલ્ખા સીંગનો રોલ સ્વીકાર્યો. ફિલ્મ લગભગ જુલાઈમાં રીલીઝ થવાની છે અને શૂટીંગ ચાલુ છે ત્યારે ફરહાન પોતાના બોડીને કસાયેલુ બનાવવા કસરત કરવાની મહેનતમાં પડ્યો છે. ૧૯૬૪માં રોમના ઓલમ્પીકમાં મીલ્ખા સીંગ ભારત તરફથી મોકલવામાં આવ્યા હતા જે વાતને ફિલ્મ રજૂ થવા જઈ રહી છે.  જૂના જમાનામાં બહુ ઓછી ફિલ્મ્સ બનતી એટલે ગોલ્ડન જ્યુબિલી, સિલ્વર જ્યુબિલી જેવા શબ્દો અસ્તિત્વમાં હતા પણ હવે એ બધી જ પરી કથાઓ લાગે છે. કદાચ આ સિલ્વર જ્યુબિલીનો છેલ્લો સ્વાદ ચાખનાર અભિનેતા શાહરૂખ ખાન હશે. ’દિલ વાલે દુલ્હનીયા લે જાયેંગે પૂરા ૩૨ વીક અલગ અલગ થિયેટરમાં જોવા મળી હતી. આમ પણ મોસ્ટ સેલેબલ સ્ટાર્સમાં શાહરૂખ ખાન આવે જ છે એટલે જેવી અજય દેવગણે તેની ફિલ્મ ’સન ઑફ સરદારની દિવાળી રીલીઝની જાહેરાત કરી એવી તરત જ યશરાજ ફિલ્મ્સે પણ જાહેરાત કરી દીધી કે ’જબ તક હૈં જાન પણ આ દિવાળીએ જ રીલીઝ થશે. આ બે ફિલ્મ્સની ટક્કરમાં લોકોને હતું કે એકાદ ફિલ્મ તો દિવાળી સુધારશે પણ આપણે ધારીએ એવું થોડું થાય?

        ચોપરા સાહેબના અચાનક નિધન પછી થોડો એમના પ્રત્યેનો પ્રેમ ચોક્કસ પણે પ્રેક્ષકોને ખેંચવામાં મદદરૂપ થાય એ વાત સ્વીકાર્ય છે. જો એક સામાન્ય વ્યક્તિ તરીકે જુઓ તો ચોપરા સાહેબનું ડિરેક્શન, એ.આર. રહેમાન સાહેબનું મ્યુઝિક, ગુલઝાર સાહેબના ગીતો અને લંડન જેવું લોકેશન અને કેટરીના, શાહરૂખ અને અનુષ્કા જેવું સ્ટાર કાસ્ટ તો પછી ફિલ્મમાં ઘટે શું? ઘટે છે તો માત્ર સ્ટોરી. તમે ગમે તેટલી સારી ટીમ લઈને બેસો પણ જો વાતમાં જ દમ ના હોય તો પછી ફિલ્મ કેમ સારી બને? ફિલ્મ જોતા જોતા તમને પચ્ચાસ વાર એક વિચાર આવશે કે આમાં નવું શું છે? જે રીતે ફિલ્મમાં ટ્વીસ્ટ આવે છે એ સ્વીકારવા તમે તો શું કોઈ સામાન્ય વ્યક્તિ પણ તૈયાર ન થાય ત્યારે મારા જેવા ક્રીટીક્સે તો કેમ સ્વીકારવું? લંડનની હોટેલનો એક વેઇટર પોતાની અધૂરી પ્રેમ કહાની મૂકીને ભારત આવે અને ભારતીય આર્મીમાં મેજર થઈ જાય! આપણને જૂના ફિલ્મ્સની યાદ આપી જાય જેમ કે હીરો કોઈ ગેંગ સાથે જોડાય અને સીધો જ નેક્સ્ટ ટુ બોસ થઈ જાય. આપણે આ વાતને પણ સ્વીકારી લઈએ તો પણ આ ફિલ્મમાં મેજરનું મુખ્ય કામ છે બૉમ્બ ડીફ્યુઝ કરવાનું. કોઈ પણ પ્રકારના પ્રોટેક્શન વગર બૉમ્બને ડીફ્યુઝ કરતો શાહરૂખ જોઇને ફિલ્મ મૂકી ચોક્કસ તમને ઊભું થઇ જવાની ઇચ્છા થશે જ. ફિલ્મમાં શાહરૂખની પહેલી લવ સ્ટોરી વખતે ૨૦ વર્ષની આસપાસની ઉમર દેખાડવામાં આવી છે અને બીજી સ્ટોરી વખતે ૩૫ વર્ષની આસપાસ. આ બંને સમયગાળા માંથી એક પણ સમયગાળો માનસિક રીતે સ્વીકારી શકાતો નથી. શાહરૂખને પોતાની જાતનું માર્કેટ કરતા સારુ આવડે છે એટલે ૪૭ વર્ષે પણ પોતાની જાતને ટકાવી શક્યો છે. આ ઉપરાંત કોઈ પણ ફિલ્મને સૌથી વધુ ધંધો આપતું ગુજરાત અને ગુજરાતના અમુક ખાસ લેખકો શાહરૂખને માર્કેટ કરવા માટે પૂરતા પ્રયત્નશીલ હોય છે. શાહરૂખે પોતાની આગવી સ્ટાઇલ મુજબ ઓવર એક્ટીંગ ચાલુ જ રાખી છે. અભ્યાસના ભાગરૂપે જ શાહરૂખની ફિલ્મ જોવી હું પસંદ કરુ છું બાકી સહન શક્તિ પૂરતી હોય એ જ શાહરૂખની ફિલ્મ્સ જોઈ શકે


        શાહરૂખે આ ફિલ્ડમાં વર્ષો કાઢ્યા છે તો પણ હજુ સમજનો અભાવ તો છે જ કે હવે રોમેન્ટીક ફિલ્મ્સ કરવાની એની ઉમર પુરી થઈ ગઈ છે. તમને કદાચ ખબર જ હશે કે રણબીર કપૂરે ગયા મહીને જ ૫ વર્ષ પૂરા કર્યા. રણબીરની પહેલી ફિલ્મ ’સાવરીયા ૨૦૦૭માં રીલીઝ થઈ હતી અને એક જ અઠવાડિયામાં ઉતરી ગઈ હતી. આ પછી ’રોકેટ સીંઘ, ’વેક અપ સીદ, રાજનીતિ જેવી ફિલ્મ્સ સ્વીકારાય પણ ખરી. સૌથી ગૌરવની વાત એ છે કે ’બરફી ભારત તરફથી બેસ્ટ ફોરેન લૅન્ગ્વેજ ફિલ્મ તરીકે ’ઓસ્કારમાં મોકલવામાં આવી છે. રણબીરે આ માટે એના એક ઇન્ટર્વ્યૂમાં સરસ જવાબ આપેલો કે ’ આ તો પ્રથમ પગલું છે. જો જીતીશું તો ભલે નહિતર અનુરાગ કશ્યપને મોકલી દઈશુ. શાહરૂખનું સેન્સ ઑફ હ્યુમર ખૂબ સરસ છે તો પણ આ કોમેન્ટમાં શાહરૂખની કોમેન્ટ્સ કરતા વધારે મઝા પડી.



        અજય દેવગણનું છટપટાવું એકદમ વાજબી હતું. ’સન ઑફ સરદાર રીલીઝ પહેલા જ અજય દેવગણે યશરાજ ફિલ્મ્સને નોટિસ આપી કે પોતાના બોલુવુડના પાવરના લીધે યશરાજ ફિલ્મ્સ સીંગલ થિયેટર રીલીઝમાં સન ઑફ સરદારને રોકી રહી છે. યશરાજ ફિલ્મ્સે આ નોટિસનો જવાબ પણ આપ્યો અને અજય દેવગણની આ નોટિસને ડીસમીસ પણ કરી નાખવામાં આવી પણ એક હકીકત તો છે જ કે જ્યારે શાહરૂખ અને ચોપરા સાહેબ બે વ્યક્તિનું વજન હોય ત્યારે અજયભાઈએ થોડું તો ભોગવવું જ પડે. જનરલી તો ફિલ્મ હીટ થાય ત્યારે બળતરામાં આવું કંઈક થતું હોય છે જેમ કે તાજેતરમાં ’ઓહ માય ગોડની ગ્રાન્ડ સક્શેશ પછી મને થયું કે ધર્મના નામે ઠેકો લેતા કોઈ પણ વ્યક્તિ જાગ્યા કેમ નહીં? ત્યાં જ સમાચાર મળ્યા કે સીવીલ લાઇન પોલીસ સ્ટેશન અજમેર માંથી એફ.આર.આઇ. ફાડવામાં આવી છે. પરેશ રાવલ, અક્ષય કુમાર અને ડિરેક્ટર ઉમેશ શુક્લાને નોટિસ મોકલી દેવામાં આવી છે.


        ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મિત્રતા અને શત્રુતા ખૂબ ઝડપથી થઈ જાય છે. હાલ સલમાન-અજય સારા મિત્રો છે. એટલે જ અજય દેવગણની મિત્રતા માટે સલમાન ખાને યશરાજ બેનર સાથે સંબંધો બગડે તો પણ ટ્વીસ્ટ કર્યું કે ’ઇસ દિવાલી બેકાર...બીના સન ઑફ સરદાર. પણ સાચે જ ઇસ દિવાલી બેકાર વીથ ’સન ઑફ સરદાર. મને હતું કે આ બંને ફિલ્મ્સ વચ્ચે કાંટાની ટક્કર થશે પણ હકીકત તો એ નીકળી કે આ દિવાળીમાં બંને ફિલ્મ્સ બૉમ્બના નામે સુરસુરીયા નીકળ્યા. અજયની પત્ની કાજોલે પણ ફિલ્મ પ્રોમોટ કરવાનો પ્રયત્ન કર્યો. બોલીવુડમાં અજય-કાજોલની જોડી ઘણો સારો સાથ નીભાવે છે બાકી જોડી કહેવાય કે ન કહેવાય એ તો ખબર નથી પણ અનીતા આડવાણી એટલે કે ’કાકા (રાજેશ ખન્ના) સાથે લીવીંગ રીલેશનમાં રહેતી હતી. જેણે મુંબઈની બાંન્દ્રા કોર્ટમાં અરજી ડિમ્પલ, ટ્વિંકલ, રીંકી અને અક્ષય સામે અરજી કરી છે કે એ ૨૦૦૩થી કાકા સાથે રહે છે. ’આશીર્વાદ બંગલામાં એણે જીવનનો અનોખો સમય પસાર કર્યો છે જે ભૂલી શકે એમ નથી પણ આ ચારેય કુટુંબીજનો અગાઉ ખૂબ સારા સંબંધો રાખતું જ્યારે હવે એમને આ ઘર માંથી ધક્કા મારીને કાઢી મૂકેલ છે. આ અરજી પર ૨૭ નવેમ્બરે ડિમ્પલ, ટવિંકલ, રીંકી અને અક્ષયે જવાબ રજૂ કરવાનો છે. અનીતાએ ડોમેસ્ટીક વાયોલન્સનો ગુનો દાખલ કરીને નોટિસ આપી છે. મનોહર શેટ્ટી અનીતાના વકીલ છે.


        ૧૯૨૩માં એક અંગ્રેજી સાયલેન્સ ફિલ્મ ’હોસ્પીટાલીટી આવ્યું હતું. આ ફિલ્મથી પ્રેરાયને તેલુગુ ડિરેક્ટર એસ.એસ.રાજમૌલીની ફિલ્મ ’મર્યાદા રામન્ના બની. આ ફિલ્મનું હિન્દી વર્ઝન એટલે ’સન ઑફ સરદાર. ફિલ્મના ડિરેક્ટર આમ તો હથોડા ફિલ્મ આપવા માટે જાણીતા છે એટલે ખાસ કંઈ આશા રાખી નહોતી તો પણ ’અશ્વીન ધીરની આગલી ફિલ્મ હતી ’અતીથી તુમ કબ જાઓગે. પરેશ રાવલ જેવા કલાકારને કેમ વેડફી શકાય એ શીખવું હોય તો અશ્વીન ધીર પાસેથી શીખી શકાય. હવે જ્યારે પરેશ રાવલ વેડફાતો હોય તો પછી અજય દેવગણની શું હેસિયત? કોઈ કારણ વગરનો ડ્રામા, કોઈ કારણ વગર સ્ટોરીના ટ્વીસ્ટ, કોઈ કારણ વગરનું એક્શન, પરાણે હસાવતી કૉમેડી બધી જ ખરાબ વસ્તુઓનો ખજાનો એટલે ’સન ઑફ સરદાર. ફિલ્મ જોઈને અહેસાસ થશે જ કે થાકી જવાયું. 


પેકઅપ:

"પાકિસ્તાન આપણું દુશ્મન રાષ્ટ્ર છે એ શાહરૂખે સાબિત કરી દીધું. ’જબ તક હૈં જાન પાકિસ્તાનમાં પણ રીલીઝ થશે"

Friday, 9 November 2012

બે ફિલ્મ્સ: બોલીવુડની ખટપટ સાથે


       

          ફિલ્મ માટેનો ક્રેઝ એ હદે મને તો રહ્યો છે કે જે અઠવાડીયે નવી ફિલ્મનું બૅનર ન જોવા મળે એ અઠવાડીયુ ખરાબ ગયુ હોય એવું લાગે. આ અઠવાડીયે બે ફિલ્મ્સ આવી ’ઇટ્સ રોકીંગ દર્દે ડીસ્કો અને ’લવ શવ તે ચીકન ખુરાના. મુંબઈમાં હોઈએ તો એક રિવાજ રહ્યો છે કે ફિલ્મનું રીવ્યુ એક દિવસ અગાઉ રાખવામાં આવે જેથી બીજા દિવસે સવારના અખબારોમાં અને અત્યારના સંજોગોમાં નેટ પર મૂકી શકાય. આમ તો અન્ય ફિલ્મ સાથે સંકળાયેલા મિત્રોને મુંબઈ ફોન કરીને જાણી લેતો હોઉં છું તો પણ ફિલ્મને મૂલવવાની દ્ગષ્ટિ દરેકની અલગ અલગ હોય છે. ’અબતક દ્વારા અત્યાર સુધી ફિલ્મના રીવ્યુ માટે જ લખતો પણ આ વખતે એવું થયું કે રીવ્યુ સાથે સાથે બોલીવુડની થોડી ખટપટ પણ કરી લઈએ...

        "ઇટ્સ રોકીંગ દર્દે ડીસ્કો" દ્વારા બપ્પી લહેરીએ પોતાની ફિલ્મી કેરિયરની શરૂઆત કરી છે. આ પહેલા બપ્પી દા ઘણી જગ્યાએ અને ફિલ્મ્સમાં જોવા મળ્યા હશે પણ આ ફિલ્મ એ એવી ફિલ્મ છે જ્યાં બપ્પી દા બાકાયદા એક ભૂમીકા ભજવે છે. ફિલ્મનું ટ્રેલર જોઇશો ત્યાં જ સમજી જવાશે કે આ ફિલ્મ એટલે ઘરઘરાઉ રમત કરતા કરતા બનાવેલી ફિલ્મ છે. કૉમેડીનો જ્યારે ટ્રેન્ડ ચાલી રહ્યો છે ત્યારે બપ્પી દા પણ કેમ રહી જાય? બપ્પી દાનું નામ જ્યારે સાથે જોડાયેલું હોય ત્યારે ફિલ્મને રીલીઝ તો મળી જ રહે પછી ભલે ઑડિયન્સ મળે કે ન મળે!. બોલીવુડનો એક ટ્રેન્ડ રહ્યો છે કે જે કોઈ પોતાની બ્રાન્ડ ઊભી કરે એને એકાદ વાર સ્ક્રીન પર આવવાનો શોખ ઊભો થાય જ. જેમ કે હમણાં જ ઝી પર ૧૮ નવેમ્બરથી રજૂ થનારી સીરીઝ ’ઝી ક્લાસિક્સ ક્લાસિક લીજેન્ડમાં હાજર રહેલા અને જેના શબ્દોના લોકો દિવાના છે એવા જાવેદ અખ્ખતરે એક વાત યાદ કરતા કહ્યું કે એ છ વર્ષની ઉમરે હઝરત ગંજ થિયેટરમાં ’આન જોવા ગયા. એમણે ફિલ્મમાં જોયું દિલીપ કુમાર તલવારો વિઝેં છે, ઘોડા પર તબડક તબડક કરતા જાય છે, ગીતો ગાય છે અને બસ એમને પહેલી વાર થયું કે હીરો હોય તો આવો. દિલીપ કુમાર એ વખતના સુપર સ્ટાર તો પછી એમને એ અહેસાસ થયો કે હીરો એટલે શું. એમને પહેલીવાર જીવનમાં હીરોગીરીનો ખરો અહેસાસ થયો. બધા વચ્ચે જાવેદ અખ્ખતરે સ્વીકાર્યું કે લેખક બનતા પહેલા જો એમનું કોઈ સ્વપ્ન રહ્યું હોય તો એ હતું હીરો બનવાનું. હવે જો જાવેદ અખ્તર આ કક્ષાએ હોય છતાં પણ હીરો બનવાનું સ્વપ્ન અધુરું લાગતું હોય તો પછી બચારા બપ્પી દા નો શું વાંક? સોનાના શોરૂમ જેવા બપ્પી દાને આમ ઓડિયન્સે ક્યારેય સ્વીકાર્યા નથી એટલે થિયેટર પણ ખાલી ખાલી જ જોવા મળે છે.

        વિચિત્ર ટાઇટલ્સ માત્ર ગુજરાતી ફિલ્મમાં જ નથી હોતા. લાંબા લચક અને સરસ મઝાના બોર કરતા ટાઇટલનો જમાનો હવે બોલીવુડમાં પણ આવી ગયો છે. આ પાછળનું લોજિક એવું છે કે વિચિત્ર નામ લોકોને આકર્ષી શકે. કદાચ આ અઠવાડીયે રજૂ થયેલી ’લવ શવ તે ચીકન ખુરાના આ કારણે જ આવા ટાઇટલ સાથે રીલીઝ થઈ હશે. અનુરાગ કશ્યપ કાયમની માફક દરેક ફિલ્મમાં પોતાની થોડી થોડી ટાંગ અડાવતો રહે જ છે એટલે આ ફિલ્મમાં પણ રોની સ્ક્રુવાલ, સિદ્ધાર્થ રોય કપૂર સાથે પોતે પણ એક પ્રોડ્યૂસર છે. સમીર શર્મા અને સુમીત બેનર્જી એ લખેલી વાર્તા પંજાબના બૅકગ્રાઉન્ડ પર ચાલે છે. લંડન રિટર્ન એક વ્યક્તિની કૉમેડી સાથે ફરતી કથા પ્રમાણમાં માણવા જેવી છે. ’લવ શવ તે ચીકન ખુરાના માટે એટલું તો કહી જ શકાય કે અનુરાગ જોડાયેલો હોય એટલે કંઈક સારુ તો હોય જ. આ ઉપરાંત એ પણ એક હકીકત છે કે અનુરાગ કશ્યપને લોકો સારો બીઝનેસમેન પણ માનતા થયા છે. ફિલ્મનું કુલ બજેટ ૩.૨૫ કરોડનું જ છે એટલે જો પૂરતી ટૉકીઝ રીલીઝ માટે મળી જાય તો રૂપિયા તો ઊભા થઈ જ જવાના. પહેલા બે દિવસનું કલેક્શન લગભગ ૪ કરોડ તો થઈ જ ચૂક્યું છે. લો બજેટની ફિલ્મ અને સરસ મઝાની આવક કોને ન ગમે? હમણાં જ એકતા કપૂરે પણ આવો જ પ્રોજેક્ટ હાથમાં લીધો. બીજોય નામ્બીયારને કો પ્રોડ્યૂસર તરીકે લઈને   ’કુકુ માથુર કી ઝાંડ હો ગઈ.  શરૂ કરી. આમ જુઓ તો ’લવ શવ તે ચીકન ખુરાના જેવું જ ટાઇટલ અને આ ફિલ્મની જેમ જ ઓછા બજેટે ફિલ્મ બનાવીને કમાણી કરવાની ગણતરી. આ ફિલ્મનું ડિરેક્શન અમન સચદેવને સોંપવામાં આવ્યું છે. આવી ફિલ્મની ખાસિયત મુજબ જ ઓછા જાણીતા કલાકારો જેમ કે ભૂતપૂર્વ મીસ ઇન્ડિયા સીમરન કૌર અને ન્યુ કમર સિદ્ધાર્થ ગુપ્તાને લીડ રોલ સોંપવામાં આવ્યો છે. તાજા સમાચાર મુજબ લગભગ ૪૦% જેટલું શૂટ તો પુરુ પણ થઈ ગયું છે. ડિરેક્ટર પણ ચોખ્ખા શબ્દોમાં સ્વીકારે છે કે ’ખોસલા કા ઘોંસલ અને ’ઓયે લક્કી લક્કી ઓય  જેવી ફિલ્મ બનાવવાનો જ પ્રયાસ છે. હવે જ્યારે બાલાજી ફિલ્મ્સ ડીસ્ટ્રીબ્યુશનમાં હોય ત્યારે આ ફિલ્મ ખોટ નહીં કરે એટલું તો સ્વીકારવું જ પડે.

        આ અઠવાડીયે રજૂ થયેલી બંને ફિલ્મ્સ માટે કોઈ ખાસ પ્રોમોશન કરવામાં નથી આવ્યું બાકી અત્યારે તો કોઈ પણ ફિલ્મ હોય ઇન્ટરનેટ અને ટચુકડા પરદા પર પૂરતી પ્રોમોટ કરવામાં આવે જ છે.  જેમ કે ’દબંગ-2’. બોલીવુડમાં સમાચાર છે કે આરબાઝ ખાન નિર્મિત અને દિગ્દર્શિત આ ફિલ્મનું ટ્રેલર ’બીગ બોસની સીઝન ૬માં જોવા મળશે. સોનાક્ષી સિંહા પહેલી ફિલ્મથી જ સેલેબલ હીરોઇન બની ગઈ છે ત્યારે એઝ એક્સપેક્ટેડ સોનાક્ષીને ફરી આ ફિલ્મમાં પણ સલમાન ખાનની વાઇફના રોલમાં જોવાનો મોકો મળશે. આગલાં દબંગમાં મલ્લયકા અરોરાનું આઈટમ સોંગ હતું એમ જ આ ફિલ્મમાં પણ છે પણ વધારામાં લોકોને કરીના કપૂર પણ એક આઇટમ સોંગમાં જોવા મળશે. તો જોઈએ હવે ફિલ્મ ક્યારે જોવા મળે છે. આ દિવાળીએ તો ઘણા સ્ટાર વચ્ચે કાંટાની ટક્કર થવાની છે પણ ’સન ઑફ સરદારમાં સોનાલી મેદાન મારસે જ એવું ધારી શકાય.

        ફિલ્મ માટે કોન્ટ્રાવર્સી ઊભી કરવાનો રિવાજ છે જ એટલે બપ્પી દા એ ’ઇટ્સ રોકીંગ દર્દે ડીસ્કોની પ્રેસ કૉન્ફરન્સમાં થોડા આડાઅવળા જવાબ આપ્યા પણ મીડિયા હવે હોશિયાર થઈ ગયું છે કે ક્યાં વેઇટેજ આપવો અને ક્યાં ન આપવો માટે ક્યાંય પણ આ વાતનો ઉલ્લેખ પણ કરવામાં ન આવ્યો. જો કે બચારા ડિરેક્ટર અમજદ ખાન પોતાની આગલી ફિલ્મ ’લે ગયા સદામની માટે ઉગ્ર રીતે જયપુરના મુફ્તી હાજી અબ્દુલ સતારના વિરોધને ફિલ્મ હીટ કરવા માટેનું સ્ટંટ નથી કહેતા. એમનું લોજિક આમ તો સ્વીકારી શકાય એવું છે કેમ કે અમજદ ખાન કહે છે કે ’જો મારે કોન્ટ્રાવર્સી જ ઊભી કરવી હોત તો હું ફિલ્મના રીલીઝના એકાદ બે દિવસ પહેલા કરત. આ ફિલ્મની કથા મુસ્લિમ ડિવોર્સ અને રીમેરેજની છે. હવે જ્યારે મુસ્લિમ વિષયની વાત આવે ત્યારે અમુક વાતો તો બાય ડીફોલ્ટ જ આવી જવાની. શરિયત મુજબ મુસ્લિમ પાત્રો ન ચાલે તો ગમે ત્યારે ફતવો આવી જાય!. ભારતની શાણી પ્રજાને હવે આ ફતવા અસર નથી કરતા બાકી એક સમયે ફતવા પર ફિલ્મ અટકી હોય એવા ઘણા દાખલાઓ છે. જોઈએ હવે આ ફિલ્મનું શું ભવિષ્ય થાય છે.

        વાચક મિત્રો, આ પહેલીવાર ફિલ્મ સાથે બોલીવુડની ખટપટ સાંકળીને નવો પ્રયોગ કર્યો છે. આપના અભિપ્રાયની ચોક્કસ પણે અપેક્ષા રાખુ છું.



પેકઅપ:

"બોલીવુડ માટે એક વધારે શેડ ન્યૂઝ... 
.
.
અનુમલીક એમના ઘર માંથી આજે સવારે જીવતા મળ્યા"

Friday, 2 November 2012

૧૯૨૦ ઈવિલ રિટર્ન: રિટર્ન ન થયુ હોત તો પણ ચાલત



        માણસ અને આત્મા વચ્ચે જે કંઈ ચાલતું રહેતું હોય પણ માન્યતાઓમાંથી માણસ ક્યારેય નીકળી શક્યો નથી. ભૂત, પ્રેત, ડાકણ, ખવીસ, શૈતાન, પિશાચ જેવા કોણ જાણે કેટકેટલાં નામથી આ સૃષ્ટિ બહારની સૃષ્ટિને ઓળખવામાં આવે છે! સાયન્સ ક્યારેય આવી વાતોને સ્વીકારતું નથી પણ માણસ હંમેશા ડરના ઓછાયા નીચે જીવે છે એટલે ક્યાંક દેખાતો પડછાયો પણ ભૂત માની બેસે છે. અનેક પ્રકારની વાતો અને અનુભવો માણસ સતત ચર્ચતો જોવા મળ્યો છે એમ છતાં પણ હકીકત શું છે એ સમજી શક્યો નથી તો પણ આવી વાતો માણસને ગમે છે જ અને એટલે જ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે હોરર એ ખૂબ મઝાનો સબ્જેક્ટ છે. એમાં પણ અમુક પ્રોડ્યુસર્સને તો ભૂતની ફિલ્મ બનાવવી ખૂબ જ ગમે છે. આવા જ એક પ્રોડ્યૂસર એટલે વિક્રમ ભટ્ટ. ૧૯૨૦ નામથી પહેલી સીક્વલ બનાવી હતી અને બોક્સ ઓફીસ પર સક્સેસફુલ પણ રહી એટલે બીજી ફિલ્મ તો બનાવવી જ જોઈએ પણ ફિલ્મ જોઈને એવું લાગ્યું કે આ ઇવિલને રિટર્ન ન કર્યું હોત તો પણ ચાલી જાત. 

  
        વિક્રમ ભટ્ટની એક વાત મને ગમે છે કે એ મર્ડર બનાવે પછી મર્ડર ૨ બનાવે કે પછી રાઝ થી શરૂ કરીને રાઝ 3D બનાવે તો પણ આગલી સીક્વલ સાથે બીજી સીક્વલને ધરાર કરીને જોડતા નથી. ઘણીવાર એક વાતને બીજી વાત સાથે હથોડા મારીને પણ ફીટ કરવામાં આવે છે જેમ કે હેરાફેરી જેટલી સુંદર કૉમેડી નથી જોઈ પણ આ પછીની તમામ સીક્વલ જુઓ તો ત્રાસથી વિશેષ કંઈ આપવામાં આવ્યું નથી. વિક્રમ ભટ્ટની ફિલ્મ્સની બીજી ખાસિયત છે રોયલનેસ, લોકેશન્સ અને સિનેમેટોગ્રાફી. વિક્રમ ભટ્ટની ફિલ્મ્સમાં ક્યારેય ગરીબની વાત નથી હોતી આ રીતે જ એમણે સિલેક્ટ કરેલા લોકેશન્સ વખાણવા લાયક હોય જ છે અને ઉપરાંતમાં કૅમેરાની કમાલ પણ નજરે પડે છે. આ બધું હોવા છતાં ફિલ્મ સારી ન બને જેના અનેક કારણો હોય. મારી દ્રષ્ટીએ આ ફિલ્મ નબળી હોવાના મુખ્ય બે કારણો છે. એક ફિલ્મની વાર્તા ખરેખર નબળી છે. આ પહેલા કારણ પર ઊંડાણથી અભ્યાસ કરીએ તો એટલું કહેવાય કે કોઈ પણ હિન્દી હોરર ફિલ્મ લો એટલે ફિલ્મનું રીઝનીંગ લગભગ એકસરખું જ જોવા મળે. આત્માનું ભટકવું, બદલો કે પછી અચાનક કોઈ ખરાબ જગ્યામાં પ્રવેશ. આ પ્રકારના કારણોની બહારનું કારણ કેમ કોઈને પણ નહીં મળતું હોય? ઇન્ગ્લીશ ફિલ્મ્સ પણ હોરર વિષયની શોખીન રહી છે પણ એમની પાસે દરેક વખતે નવું લોજિક હોય છે. ૧૯૨૦ રિટર્નની વાર્તા જોઈએ તો તમને લાગશે કે આમાં નવીન શું છે? એજ ઘીસીપીટી વાર્તા. હીરોઇન આત્માના કબ્જામાં હોય અને હીરો કોઇ પણ રીતે એને બચાવવા માગતો હોય. બધી જ હોરર ફિલ્મ્સની જેમ જ અચાનક એક વિચિત્ર માણસ પિક્ચરમાં આવે અને આત્માને હીરોઈનના શરીર માંથી છોડાવવાની યુક્તિ આપે. બધી જ હિન્દી ફિલ્મ્સની જેમ આવો વ્યક્તિ છેલ્લે મરી જાય. અંતે સૌ સારાં વાનાં. ફિલ્મમાં ભૂતને લાવવા માટે આ લોકોને બીજો કોઈ રસ્તો મળતો જ નહીં હોય? હવે જ્યારે આવી જ વાર્તા હોય તો વારંવાર એક સરખું જોવું કોને ગમે?


       આ રીતે જ ફિલ્મ ખરાબ હોવાનું બીજું કારણ છે ફિલ્મના કલાકારો. આફતાબ શિવદાસાની ફિલ્મનો હીરો છે. ફિલ્મમાં આફતાબનું નામ જયદેવ વર્મા છે અને એનો મુખ્ય વ્યવસાય કાવ્યો લખવાનો છે. જે રીતની એની શાનદાર હવેલી બતાવવામાં આવી છે એ જોઈને એમ થયુ કે સૌથી શ્રેષ્ઠ કવિને પણ આવું મકાન નથી તો આ ભાઈએ એવું તે શું લખી નાખ્યું કે આટલા માલદાર થઈ ગયા? આફતાબની ઉમર હવે ચાડી ખાય છે. જે રીતે આફતાબ જાડિયો થયો છે એ રીતે કહી શકાય કે એ ફિલ્મ્સને જલદી અલવિદા કહેવા માગે છે. આફતાબની ફિલ્મોગ્રાફી જુઓ તો પણ ખબર પડે કે એક પણ દમદાર કહેવાય એવી ફિલ્મ આપી શક્યો નથી ત્યારે આખી ફિલ્મનો ભાર એના ખભા પર ન ઊંચકી શકે એટલું ડિરેક્ટરે પહેલા વિચારવું જોઈતું હતું. આફતાબની બહેનના પાત્રમાં વિદ્યા માલવડે છે. ફિલ્મમાં વિદ્યાનું નામ કરુણા છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મેં ઘણા એવા પાત્રો જોયા છે જે કોક ડિરેક્ટરમાં ખૂબ સારા લાગે અને કોક ડિરેક્ટરમાં ખૂબ જ ખરાબ. વિદ્યા એટલે ’ચક દે ઇન્ડિયામાં ભારતની હોકી ટીમની કૅપ્ટન. ચક દે ઇન્ડિયામાં જોઈને મને લાગ્યું હતું કે આ છોકરીમાં દમ છે પણ ફરી જ્યારે આ ફિલ્મમાં જોઈ ત્યારે એમ થયુ કે આ ખૂબ ખરાબ લાગે છે. ફિલ્મમાં સ્મૃતિ અને સંગીતા બે નામ ધરાવતી છોકરી એટલે હીરોઇન તીયા બાજપાઈ. તીયાનું મૂળ નામ ટ્વિંકલ બાજપેઈ છે પણ ફિલ્મનો રંગ ચડે એટલે નામ તો બદલાવવું જ પડે! તીયા સિંગર પણ ખરી. આ પહેલા સારેગામા પા મેગા ચેલેન્જમાં એન્કરીંગ પણ કરી ચૂકી છે. હીરોઇન મટીરિયલ જેવું આ બહેનમાં કંઈ જ નથી. જો કે એ વાત એટલી જ સાચી છે કે તીયા ભૂત તરીકે ખરેખર જોવી ગમે છે. ડિરેક્ટરનું કદાચ એવું માનવું હોય એટલે જ હીરોઇન તરીકે લીધી હોય તો ના નહીં.


       ફિલ્મનું સારુ પાસું એ છે કે સ્પેશીયલ મેકઅપ અને સ્પેશીયલ ઇફેક્ટ અન્ય હોરર ફિલ્મ્સની સરખામણીએ ઘણા સારા છે. ફિલ્મને ડિરેક્ટ કરવાનું કામ ભુષણ પટેલને સોંપવામાં આવ્યું. ભુષણ પટેલનું આ પહેલું ડિરેક્ટર તરીકે ફિલ્મ છે. ડિરેક્ટરની નબળાઈ સીધે સીધી દેખાય છે તો પણ આશા રાખીએ કે અનુભવના અંતે ભાઈ ડિરેક્શન શીખી જશે. ફિલ્મમાં મ્યુઝિક ભટ્ટ ખાનદાનના જ ચિરંતન ભટ્ટે આપ્યું છે. સામાન્ય રીત ભટ્ટ કૅમ્પની ફિલ્મમાં મ્યુઝિક સારુ જ હોય છે એમ આ ફિલ્મમાં પણ ઘણા અંશે સારુ મ્યુઝિક છે પણ બૅકગ્રાઉન્ડ સ્કોર અન્ય ફિલ્મ્સ કરતા નબળો છે. હોરર ફિલ્મની મુખ્ય જરૂરિયાત બૅકગ્રાઉન્ડ સ્કોર હોય છે અને એના પર જ દર્શકોને ડરાવી શકાય છે.

     ૧૯૨૦ ઇવિલ રીટર્ન્સ જોઈને મને થયું કે થોડા લોકો મળીને જાતે જ નક્કી કરે કે ફિલ્મ બનાવીએ અને એક યાત્રા શરૂ થાય પછી જે લોકોને ગમે તે લોકોને ગમતું કામ આપી દેવામાં આવે પછી ફિલ્મ સારી બને કે ન બને એ નહીં જોવાનું કે વિચારવાનું. પૂરતા સાધનો, ખૂબ સારા લોકેશન, ખૂબ સારો મેકઅપ, સારુ કૅમેરા વર્ક છતા ફિલ્મ કેમ ખરાબ બને એ જાણવું હોય તો ચોક્કસ પણે આ ફિલ્મ તમારે જોઈ જ લેવું.

પેકઅપ:
" ડાકણથી તને બીક લાગે?"

"ના હું પરણેલો છું"