Friday, 28 September 2012

ઓહ માય ગોડ: ઈશ્વરની વિરુદ્ધ, ઈશ્વરની સાથે


       



       ઈશ્વરનું અસ્તિત્વ છે કે નહીં એ ઈશ્વર જ જાણે! તો પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રી તો ઈશ્વરમાં અંધશ્રધ્ધાની હદ સુધી શ્રદ્ધાળુ છે. સલમાન ખાન ’ફીરોઝા પથ્થર પહેરે અને અચાનક ઇન્ડસ્ટ્રીમાં છવાય જાય, અમિતાભ બચ્ચન ’ઓપલ પથ્થર પહેરે અને જૂના દેવા માંથી બહાર નીકળી જાય. આ થઈ તાજાં જમાનાની વાત પણ જૂના જમાનામાં પણ દેવ આનંદ પોતાની ફિલ્મ પહેલાની રાતે પૂજા ગોઠવતા, રાજ કપૂર આખા ખાનદાન સાથે ગણપતિ પૂજા કરે. આવા તો હજારો કિસ્સા હસે અને આમ પણ ભારતીય પ્રજા ધાર્મિક તો છે જ અને ઈશ્વરથી ડરે પણ છે. પણ જો ઈશ્વર પર જ કેશ થાય તો? વાત મઝાની છે અને હાસ્યાસ્પદ પણ છે પણ ’ઓહ માય ગોડ જોઈને તમે પણ કહેશો કે ઈશ્વર વિરુદ્ધ કેશ કરી જ શકાય. ઈશ્વર સામેનો સાચો જંગ એટલે ઓહ માય ગોડ. આ ફિલ્મ પૈસા વસૂલ ફિલ્મ છે.


        ખૂબ ચાલેલુ નાટક ’કાનજી વિરુદ્ધ કાનજી ઘણા બધા ગુજરાતીઓએ જોયું હશે. લગભગ બધાં જ શહેરોમાં આ નાટક ભજવાઈ ચૂકયુ છે. આટલી બધી સફળતા પછી આ જ નાટક ’ક્રિશ્ના વર્સીસ ક્રિશ્ના અસ્તિત્વમાં આવ્યું અને આ નાટક લગભગ નેશનલ ફલક પર એક હદનું મનોરંજન પીરસવામાં સફળ રહ્યું. આ નાટકમાં મુખ્ય પાત્ર ભજવ્યું હતું પરેશ રાવલે એટલે આ ફિલ્મ માટે મુખ્ય પાત્રનો હક્ક પરેશ રાવલનો જ હતો. જો કે નાટક અને ફિલ્મ વચ્ચે ખાસ્સો ફેર છે. સૌથી મોટો ફેર છે ’વાઇડ એંગલનો. નાટક આખે આખુ સ્ટેજ દેખાડે છે જ્યારે ફિલ્મ દરેક પાત્ર બતાવે છે. સ્ટેજ એ લાઇવ મનોરંજન છે એટલે ક્યાંય પણ ફબલીંગ ન ચાલે કે કોઈ રીટેઇક ના મળે. જ્યારે ફિલ્મ નજીકથી ફિલ્માવવામાં આવે છે એટલે અગાઉ કહ્યું એમ વાઇડ એંગલ અને ક્લોઝ એંગલનો ફેર તો છે જ. આ અગાઉ પણ નાટક પરથી ફિલ્મ બની જ છે તો પણ એટલું તો કહી જ શકાય કે નાટકની ફિલ્મ નાટક જેવી થઈ જાય તો ફ્લોપ શો છે. મારા અભિપ્રાય મુજબ જો નાટક પરથી સારી ફિલ્મ બની શકી હોય તો ’આંધળો પાટો પરથી બનેલી ફિલ્મ ’આંખે અને બીજી ફિલ્મ એટલે ઓહ માય ગોડ. નાટકની જે નબળાઈ હતી એ આ ફિલ્મમાં કવર કરવામાં આવી છે. નાટકની મર્યાદા છે કે ફિલ્મની જેમ સ્ટેજ બદલી શકતા નથી, નાટકની બીજી મર્યાદા છે કે ઍક્સ્પ્રેશન બતાવી શકાતા નથી. ઓહ માય ગોડ એવી ફિલ્મ છે કે જે નાટકની મર્યાદાઓ બ્રેક કરીને, વાતને વધુ મઝેદાર બનાવીને દર્શકોને ખરા અર્થમાં મનોરંજન પીરસી શકી છે.
અક્ષય કુમાર અને પરેશ રાવલ ખૂબ જ સારા મિત્રો અને પરેશ રાવલ માટે નાટક એટલે સર્વસ્વ. પરેશ રાવલ સાથેની એક મુલાકાત વખતે પરેશ રાવલે કહેલું કે ’ફિલ્મ કરતા મને નાટક વધુ ગમે છે. મારી જીંદગીમાં મને બે નાટકો ખૂબ ગમ્યા છે. એક છે ’મહારથી અને બીજું ’ક્રિશ્ના વર્સીસ ક્રિશ્ના. મહારથી પરથી ’મહારથી તો બની ગયું એટલે હવે બાકી રહેલા નાટકનું ફિલ્મ બને એ પરેશ રાવલનું ડ્રીમ હતું. અક્ષય સાથે આ ફિલ્મ માટે વાતો તો ઘણા સમયથી થતી હતી પણ આખરે ૨૦૧૨માં આરો આવ્યો. અક્ષય કુમારનું પહેલું મંતવ્ય એ હતું કે આ નાટકના હજારો શો થઈ ચૂક્યા છે ત્યારે આ ફિલ્મને લોકો કેમ પસંદ કરશે? તો પણ એક વાત તો સાબિત થઈ ચૂકી હતી કે જો હજારો શો થઈ ચૂક્યા હતા અને છતાં બધા જ ફૂલ શો થતાં હોય તો ફિલ્મ પણ સફળ થઈ જ શકે. અક્ષય આ પહેલા ’રાવડી રાઠોરની સફળતાનો સ્વાદ ચાખી ચૂક્યો હતો એટલે એક ટ્રાય તો કરી શકે. મિત્રની મિત્રતાને કારણે પણ જો ઓહ માય ગોડ બનાવી હોય તો પણ આ જુગાર રમવો જ જોઇએ. રાવડી રાઠોરની ટીમ અક્ષયના પ્રેમમાં પણ ખરી અને એટલાં માટે જ પ્રભુ દેવા અને સોનાક્ષી સિંહા બંને ગેસ્ટ એપીરીયન્સમાં આવ્યા. ’ગોવિંદા...’ સોંગ પણ ગજબ રીતે ફિલ્માવવામાં આવ્યું.  જો કે એક સદનસીબે એક વાત તો સારી થઈ કે ભગવાન ક્રિશ્નનું પાત્ર અક્ષય કુમારે કર્યું જ્યારે આ પાત્ર માટે પહેલા શાહરુખ ખાનને સિલેક્ટ કરવામાં આવ્યો હતો. શાહરુખ કરતા તો અક્ષય સારુ જ કરી શકે. મોસ્ટ સેલેબલને વાપરવાનું કોણ ચૂકવે? આ કારણથી જ સલમાન ખાનના અવાજ સાથે પ્રોમો રીલીઝ થયા. સલમાનના કહેવા મુજબ ’ક્રિશ્ના વર્સીસ ક્રિષ્ના નાટક સલમાને જોયેલું. આ નાટક ગમ્યું પણ ખરું એટલે એણે આ ફિલ્મ માટેના પ્રોમોમાં એણે પોતાનો અવાજ આપ્યો.


        એક્ટીંગ આમ તો દરેક ફિલ્મનો મુખ્ય હિસ્સો છે તો પણ જો સ્ક્રીનપ્લે યોગ્ય ન હોય તો કલાકારો વેડફાય જાય. આ ફિલ્મમાં દરેક કલાકારનો ખૂબ સારી રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે. મુખ્ય પાત્ર પરેશ રાવલ માટે તો કંઈ જ કહી શકાય નહીં કેમ કે એ ફિલ્મ ઘોળીને પી ચૂક્યો છે. મોટાભાગની પરેશ રાવલની ફિલ્મમાં કોઈ પણના અભિનયના વખાણ થયા હોય કે ન થયા હોય પરેશ રાવલના તો વખાણ થયા જ હોય. નબળા ડિરેક્ટર્સ પાસે ખરાબ પર્ફૉર્મન્સ પણ પરેશ રાવેલે આપ્યું જ છે તો પણ આર્ટિસ્ટ તરીકે તો પરેશભાઇ માટે કોઈ શંકા જ ન થઈ શકે. આ રીતે જ વર્ષોથી ફિલ્મમાં પોતાની જાતને એક સારા માણસ કે સારા કલાકાર તરીકે સાબિત કરી ચૂકેલા ’મીથુન ચક્રવર્તી આ ફિલ્મમાં જે હદે પોતાની છાપ છોડવામાં સફળ રહ્યા છે એ માટે મારી પાસે વખાણના શબ્દો નથી. આ રીતે જ બહુ ઓછા ડાયલૉગ અને બહુ ઓછી પ્રેઝન્ટ છતા સાઉથની હીરોઇન ’નીધી પણ ખૂબ સારુ કામ કરી શકી છે. મારા ખૂબ સારા મિત્ર અને ખૂબ સારા અભિનેતા ’ગોવિંદ નામદેવના વખાણ તો હું કરુ તો સંબંધ લાગે તો પણ એટલું તો કહીશ જ કે પૂરી ફિલ્મમાં જો સૌથી વધારે વખાણ થાય તો ગોવિંદ નામદેવના. પોતાના અભિનયમાં ક્યારેય કૉમ્પ્રોમાઇઝ ન કરતા ગોવિંદ નામદેવને આ ફિલ્મમાં જોવા એ એક લહાવો છે. બધાં જ પોત પોતાની ક્ષમતા મુજબ પોતાનું યોગદાન આપી શક્યા છે તો પણ ફિલ્મમાં ક્રિષ્નના પાત્રમાં અક્ષય કુમારનું પાત્ર ધરાર મુકવામાં આવ્યું હોય એવું લાગે છે. મોંઘુ બાઈક, સારુ ડ્રેસિંગ કે વધુ પડતું મહત્વ પણ પોતાની મુખ્ય ભૂમિકાને ન્યાય આપી શક્યું નથી. મુરલી શર્મા આ ફિલ્મમાં નેતાની ભૂમિકામાં છે. મેં જેટલી ફિલ્મમાં મુરલીને જોયો છે એટલાંમાં એટલું તો કહીશ કે સારી અભિનય ક્ષમતા ધરાવે છે. આ રીતે જ મહેશ માંજરેકર એક સારો ડિરેક્ટર હોવા ઉપરાંત એક સારો કલાકાર તો છે જ. ફિલ્મમાં ઓમપૂરી પણ છે અને ઓમપૂરીના વખાણ માટે તો કંઈ લખવાની જ જરૂર નથી.


        હ્રિમેશભાઇ ફરી માર્કેટમાં આવવા લાગ્યા છે. આ ફિલ્મનું મ્યુઝિક હ્રિમેશ રેશમીયા અને ગેસ્ટ મ્યુઝિશિયન તરીકે મ્યુટ બ્રો અંજાન લેવામાં આવ્યા છે. ’જાણ લે લો ના જાણ પછી લોકો હ્રિમેશને ફરી ચાન્સ આપતા શરુ થઈ ગયા છે. ફિલ્મ ડિરેક્ટ કર્યું છે ઉમેશ શુક્લાએ. ઉમેશ ક્રિષ્ના વર્સિસ ક્રિષ્ના નાટકનો પણ ડિરેક્ટર હતો. આ નાટક લખેલુ પણ ઉમેશનું જ હતું પણ ફિલ્મના સ્ક્રીનપ્લે માટે ભાવેશ મંડાલીયાનો સાથ લેવામાં આવ્યો. વાયાકોમ 18 દ્વારા ડીસ્ટ્રીબ્યુટ થયેલું ફિલ્મ બહુ જાજી સફળતા મેળવે કે ન મેળવે પણ એક સારા પ્રયત્નનું ફિલ્મ છે. ઉમેશ શુક્લાનું આ પહેલાનું ફિલ્મ પરેશભાઈ ’ઢુંઢતે રહે જાઓગેમાં પરેશભાઈ સાથે કામ કરી જ ચૂક્યા હતાં અને આ ફિલ્મના ઓરીજીનલ થીમના નાટક રહી ચૂક્યા હતા માટે આ ફિલ્મ એમને ડિરેક્ટ કરવા મળી. ઉમેશ માટે એટલું તો કહેવું જ પડશે કે ફિલ્મને નાટકથી અલગ ચોક્કસ પણે પાડી જ શક્યા છે. ઉમેશમાં કેટલો દમ છે એ તો એકાદ બે ફિલ્મ્સ વધુ કરે ત્યારે જ ખબર પડે. તો પણ ખરા અર્થમાં કહી શકાય તો આ ફિલ્મ એ એમનો પ્રથમ પ્રયત્ન કહી શકાય અને એ પ્રમાણમાં ખૂબ જ સારુ કામ છે.


        વાતમાં દમ છે એ વાત તો એક નજરથી જ સાબિત થાય છે કે આ ફિલ્મ અક્ષય કુમાર, અશ્વિન યાર્ડી અને પરેશ રાવલ પોતે પ્રોડ્યુસ કરવા માટે તૈયાર થયા. ફિલ્મના એક એક સંવાદ પર વાહ બોલવું પડે એ રીતે વાર્તામાં વણી લેવામાં આવ્યા છે. બહુ જાજી પબ્લીસીટી નથી કરી તો પણ ફિલ્મના ફર્સ્ટ ડે ફર્સ્ટ શો ને હાઉસફૂલ થતું જોઈને મને લાગે છે કે હવે ઑડિયન્સ એડલ્ટ થવા લાગ્યું છે. જો રેટીંગની વાત આવે તો હું ફિલ્મને ૪ સ્ટાર આપીશ. એક સ્ટાર એન્ડ માટે કાપવો જ પડે કેમ કે એન્ડ ધરાર ફિલ્મમાં ઘુસેડવામાં આવ્યો છે.





પેકઅપ:
        સારી મિત્રતા એને કહેવાય કે એક મિત્ર કહે ’યાર પ્લીઝ આ કામ કરી દે અને બીજો મિત્ર કહે કે ’ના...



2 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
    Replies
    1. paresh ravel n pankaj kapoor always un beatable actors my fav....u too .... :)

      Delete