Friday, 21 December 2012

દબંગ 2: કમાલ કરતે હો પાંડેજી આપ ભી!




        એક સવાલ હંમેશા થતો જ હોય છે કે ફિલ્મ હીટ શા માટે થાય છે? ઘણા માને છે કે ફિલ્મની કથા ખૂબ સારી હોય તો ફિલ્મ હીટ થાય, ઘણા માને છે કે ફિલ્મના ગીતો સારા હોય તો ફિલ્મ હીટ થાય, ઘણા માને છે કે ફિલ્મ કૉમેડી હોય તો ફિલ્મ હીટ જાય, ઘણા માને છે કે ફિલ્મમાં ફાઈટ હોય તો ફિલ્મ હીટ થાય, આવા અનેક અભિપ્રાયો હોઈ શકે પણ છેલ્લે તો એ ફિલ્મ જ હીટ થાય છે જે એન્ટરટાઇન્મેન્ટ પીરસે છે. એન્ટરટાઇન્મેન્ટ બીકતા હૈં બોસ! આ વાત સલમાન ખાન કૅમ્પ શીખી તો ચૂક્યો જ હતો ’દબંગ સમયે. હવે જ્યારે ’દબંગ 2’ બનાવવાનું હોય તો આ બધી વાતો ધ્યાનમાં રાખીને સૌથી વધારે મનોરંજનનો ખ્યાલ રાખવામાં આવ્યો હોય એ સ્વભાવિક છે. સલમાન ખાન ઉર્ફે ચુલબુલ પાંડે ઉર્ફે રોબીનહુડ પાંડે લોકોના મગજમાં ઘૂસી જ ગયા હોય ત્યારે બોલવું જ પડે ’કમાલ કરતે હો પાંડેજી આપ ભી!’

        ફિલ્મની સીક્વલ બનાવતી વખતે ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવું પડે છે. સૌથી વધુ જો ખ્યાલ રાખવો પડે છે જૂની ફિલ્મમાં જે રીતે પાત્ર ભજવેલુ હોય એ રીતે જ સીક્વલના પાત્રમાં એમ જ અભિનય કરવો પડે. તમે ગમે તેટલી સીક્વલ જોઈ હશે તમને પાત્રના અભિનયમાં તમને ફેરફાર દેખાયો જ હશે પણ અહીં તો સલમાન ખાન છે. હું સ્ટેટમેન્ટ કરીશ કે ’દબંગના ચુલબુલ પાંડે અને ’દબંગ 2' ના ચુલબુલમાં તમને સલમાનના શરીરના વધારા સિવાય બહુ જ ઓછો ફર્ક જોવા મળશે. એ જ ચાલ, એ જ સ્ટાઇલ, એ જ હસવું તમને સીક્વલ જુઓ છો એવું લાગવા જ નહીં દે. સલમાન જેવો જ મોટો ફર્ક તમને દેખાશે સોનાક્ષી સિંહામાં. સોનાક્ષી અભિનય તો જુની રજ્જો જેવો જ કરે છે પણ શરીર જૂની રજ્જો જેવું નથી ટકાવી શકી. ’દબંગ પછી સોનાક્ષીને ઘણી સફળતા મળી એટલે કદાચ ખાધેપીધે વધારે સુખી થઈ ગઈ હોય અને બોડી બનાવી લીધું હોય! વિનોદ ખન્નાની ઉમર ચાડી ખાય જ છે પણ છતાં ખૂબ મહેનત કરતા દેખાય છે. જો કે આખા ફિલ્મમાં પોતાના પાત્રને ગયા પાર્ટ કરતા પણ અંડર રાખ્યું હોય તો અરબાઝ ખાને. અરબાઝ સમય સાથે મેચ્યોર થવાને બદલે આ ફિલ્મમાં બુધ્ધી વધારે ઘટાડીને મેદાનમાં આવ્યો. જો કે અહીં એવું કહી શકાય કે ડિરેક્ટર તરીકે પોતાની જવાબદારી સ્વીકારીને કદાચ પાત્રને ન્યાય આપી શક્યો નહીં હોય.


        ’દબંગના ડિરેક્ટર અભિનવ કશ્યપ એટલે કે અનુરાગ કશ્યપના ભાઈ પોતે સલમાનની આગલી હીટ ફિલ્મ ’વોન્ટેડના સ્ટંટ ડિરેક્ટર રહી ચૂક્યા હતા. ફિલ્મ ખાસ્સી હીટ પણ રહી હતી એટલે બધાં માનતા હતા કે ’દબંગ2’નું ડિરેક્શન પણ એમને જ સોંપવામાં આવશે પણ આગલાં ’દબંગ વખતે અભિનવ અને આરબાઝ વચ્ચેનો ઝગડો કેમ ભૂલી શકાય? તમને યાદ હશે કે ટ્વીટર પર અભિનવે એવી કૉમેન્ટ કરી હતી કે ’સલમાન ખાન માને છે કે એણે ’દબંગ દ્વારા એના ભાઈની જિંદગી બનાવી દીધી, આશા રાખીએ કે આ વાત ’દબંગ 2’માં પણ કન્ટીન્યુ રહે. આ ઝગડો ખાસ્સો ચાલ્યો હતો અને છેલ્લે એઝ યુઝવલ માફા માફી પણ થઈ ગઈ હતી પણ અરબાઝે કદાચ યાદ રાખીને આ ફિલ્મનું દિગ્દર્શન જાતે જ કરવાનું નક્કી કર્યું. મારી દ્રષ્ટિએ ’દબંગ 2’નું ડિરેક્શન પણ ગાજ્યું જાય એવું નથી. દર્શકોને જે જોઈએ છે એ આપવાનું કામ તો એટલીસ્ટ આ ફિલ્મ કરી જ શકી છે. અરબાઝ પોતાની રીતે પહોંચતો માણસ તો છે જ અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી તો ખાન ખાનદાનમાં ગળથૂથીમાં આવી છે. સલમાન સુપર સ્ટાર ન ગણો તો પણ મોસ્ટ સેલેબલ આઇટમ તો છે જ એટલે એનો પુરેપુરો ફાયદો મળે જ. ઘરનું જ પ્રોડક્શન હોય, બધા ઘર ઘરના જ લોકો ભેગાં હોય ત્યારે ’ભાઇ મરે અને બહેન કૂટવામાં બાકી રાખે?’ જેવો માહોલ થાય. આ વખતે ગયા વખત કરતા વધારે સારા સ્ટંટ આપવા જ પડે અને અભિનવ સાથે પણ નથી માટે અનલ અરસુને આ જવાબદારી સોંપવામાં આવી. ’દબંગના સ્ટંટ કરતા આ ફિલ્મના સ્ટંટ વધારે સારા છે. સલમાનને ડૉક્ટર્સ સ્ટંટ કરવાની ના પાડે છે પણ જ્યારે સ્ટંટ જ માર્કેટમાં ચાલતા હોય ત્યારે બીજો ઉપાય શો? સલમાને વિચાર્યું હશે કે એકાદ ઓપરેશન વધારે કરાવી લઈશુ.

        સંગીતની દ્રષ્ટિએ ’દબંગ કરતા ’દબંગ2’નું સંગીત ઊતરતી કક્ષાનું કહી શકાય તો પણ એન્ટરટાઇન્મેન્ટ વેલ્યૂ તો છે જ. ગયા વખતે પણ સાજીદ-વાજીદને જ મ્યુઝિક સોંપવામાં આવ્યું હતું અને આ વખતે પણ સોંપવામાં આવ્યું. આ વખતે એકાદ-બે સોંગ બીજાને પણ સોંપવામાં આવ્યા. મ્યુઝિક માટે પણ ખ્યાલ રાખવામાં આવ્યો કે સીક્વલ છે તો મ્યુઝિક પણ સીક્વલમાં આવે પણ અહીંયાં એ ભુલાઈ ગયું કે તાજેતરના સંગીતનો એક જ વાંધો છે કે એ લોંગ લાસ્ટીંગ નથી હોતું. નવા જમાના અને ટેસ્ટ સાથે મ્યુઝિકનો ટેસ્ટ ઓડિયન્સનો બદલતો રહે છે. પહેલા ભાગમાં સિનેમેટોગ્રાફી મહેશ લીમીયેને સોંપવામાં આવી હતી પણ મહેશ વધુ ઘરોબો અનુરાગ સાથે ધરાવતો હોવાથી આ વાર આ જવાબદારી અસીમ મીશ્રાને સોંપવામાં આવી. બંનેની સરખામણી થઈ શકે એમ નથી કારણ કે બંને એ પોતપોતાની જગ્યાએ શ્રેષ્ઠ દ્ગશ્યો આપ્યા જ છે.  ટીમ તો બદલાતી રહે છે પણ સૌથી સહેલું કામ બની ગયું લેખકનું. ’દબંગ સમયે લેખકોએ પૂરી મહેનત કરી હતી. સાંભળ્યું છે કે અનુરાગ કશ્યપ પોતે ડાયલોગ્ઝ માટે ખાસ સમય ફાળવીને બેઠો હતો. હવે જ્યારે આગલી વાત પણ દિલીપ શુક્લા એ લખી હોય ત્યારે હીટ શું છે એ તો એને ખબર હોય જ એટલે માત્ર વિલન જ નવો ચીતરવાનો હતો જે એક સામાન્ય લેખક માટે પણ ઇઝી થઈ પડે ત્યારે દિલીપભાઈ તો અનુભવી લેખક. નાના નાના પંચની મઝા અલગ જ મઝા કરાવી જાય છે.


        માત્ર ફરક એટલો જ છે કે ગયા વખતે ૧૮૦૦ ટૉકીઝ રીલીઝ હતી જ્યારે સફળતા ખેંચે જ છે એટલે આ વખતે ૩૦૦૦ સ્ક્રીનનું રીલીઝ મળ્યું છે. આજે સવારે જ્યારે સિનેમેક્સમાં હું ફિલ્મ જોઈ ત્યારે આશ્ચર્ય થયું કે ત્રણે ત્રણ સ્ક્રીનમાં માત્ર અને માત્ર ’દબંગ 2’ જ હતું અને શો ગણ્યા ત્યારે ખબર પડી કે એક જ દિવસમાં ૧૭ શો હતા અને આથી પણ વિશેષ એ કે બધા જ શો ફૂલ સવારમાં જ થઈ ગયા હતા. હવે હિસાબ લગાવો કે ૪૦૦ ટીકીટ્સ, ૧૭ શો, ૫૦/-રૂ જ જો રેવેન્યૂ શેરીંગ આવે તો એક જ દિવસનું રાજકોટનું એક જ ટૉકીઝનું એટલે કે ૩ સ્ક્રીનનું કલેક્શન થાય ૩,૪૦,૦૦૦/- રૂપિયાનું થયું તો હવે તમે જાતે જ ૩૦૦૦ સ્ક્રીનનો હિસાબ લગાવી જુઓ. આ રીતે બને છે ૧૦૦ કરોડની ક્લબ!


        યુટીવી માટે મડિયામાં ખૂબ સમાચાર ચગ્યા કે ’દબંગ 2’ના રાઇટ્સ ૧૮૦ કરોડમાં ખરીદ્યા પણ થોડા સમય પછી રદિયો પણ આવ્યો કે આ વાત ખોટી છે. આમ છતા પણ ૧૪૦ કરોડમાં રાઇટ્સ વેચાણા એવા તો પાક્કે પાક્કા સમાચાર માર્કેટમાં ફરતા થયા છે. નેટ પર લીક થયેલા આંકડાઓ સાચા માનીએ તો આ રાઇટ્સની કિંમત આ મુજબ નક્કી થઈ છે
નૉર્થ                   ૮૦ કરોડ
સાઉથ                 ૧૦ કરોડ
ઇસ્ટ                   ૧૦ કરોડ
સેટેલાઇટ              ૪૫ કરોડ
ઓવરસીઝ            ૨૫ કરોડ
ઓડિયો                ૧૦ કરોડ


        ફિલ્મનો કુલ ખર્ચ માત્ર ૪૦ કરોડ જ છે! અધધ કમાણી છે ને? એટલે જ તો ફિલ્મ સારુ હોય કે ખરાબ ખોટ તો ઓડિયન્સે જ કરવાની હોય છે. તમને યોગ્ય રીલીઝ મળે એટલે તમે તો કમાઈ જ ચૂક્યા છો. ઓવરઓલ વાત કરીએ તો ફિલ્મ તમને ચોક્કસ આનંદ કરાવી જ જશે માટે એકવાર જોઈ આવજો...



પેકઅપ:
અબ્રાહમ લીંકને કહ્યું કે ’’ કોઈ પણ દેશ આઇડિયા, લિબર્ટી, ટ્રસ્ટ અને ફ્રીડમથી આગળ વધે છ
ભારતમાં આઇડિયા એટલે સીમ કાર્ડ, લિબર્ટી એટલે ચપ્પલ, ટ્રસ્ટ એ કોન્ડમની બ્રાન્ડ છે અને ફ્રીડમ વર્ડસ સેનેટરી નેપકીન સાથે જોડાઈ ગયો છે...

Friday, 14 December 2012

રાજકારણ અને ફિલ્મ્સ: સાથે પણ અને સામે પણ






        આ શુક્રવારે એક પણ ફિલ્મ રાજકોટમાં રીલીઝ ન થઈ. માઇક્રો અને મેટ્રો વચ્ચે આ જ ફરક છે. મુંબઈમાં ત્રણ ન જાણીતી એવી ફિલ્મ્સ ’સિગારેટ કી તરાહ, ’મૈં રોની ઔર જોની અને ’અમ્મા કી બોલી રીલીઝ થઈ છે. રાજકોટવાસીઓને આ જોવા મળશે કે કેમ એ પણ એક પ્રશ્ન છે. તો આજે આપણે વાત કરીએ પોલીટીક્સ અને મૂવીઝની. ફિલ્મ બનાવવા માટે હંમેશા હોટ સબ્જેક્ટની શોધ થતી જ હોય છે ત્યારે રાજકારણથી વધારાનો સારો વિષય કયો હોય? ડર તો બધાને લાગે તો પણ હિંમતવાળા ડિરેક્ટર અને રાઇટર્સ આવા વિષયો પર ફિલ્મ બનાવતા રહ્યા છે અને બનાવતા રહેશે. ભારતીય સિનેમામાં પોલીટીક્સ પર ફિલ્મ્સ તો બની જ છે પણ મહદંશે કોઈને કોઈના ડરથી હકીકત છુપાવીને કે પછી ખોટી રીતે વાત રજૂ કરીને ક્યાંક ઢાંક પિછોડો કરેલો જોવા મળે. સમય અને યુગ બદલાયો છે એટલે હવે ફિલ્મ્સ બોલ્ડ થવા લાગી છે. રાજકારણના એવા એવા પાસાંઓને પબ્લિક સમક્ષ રાખવામાં આવ્યા છે કે આમ આદમીનુમ લોહી ઊકળી જાય તો પણ દર પાંચ વર્ષે દેખાતા એના એ ચહેરાઓને આપણે ચૂંટી લઈએ છીએ અને પછી આગળના પાંચ વર્ષ સુધી ગાળો આપતા રહીએ છીએ. આ અગાઉ પણ હું લખી ચૂક્યો છું કે ફિલ્મ માણસની માનસિકતા રજૂ કરે છે. વ્યક્તિ પોતે જે નથી કરી શકતો એ વાત એ ફિલ્મના કેરેક્ટર્સમાં જુએ છે અને આ કારણથી જ રાજકારણ અને ફિલ્મ એટલે એક બીજાની સાથે પણ અને સામે પણ કહી શકાય...

        રાજકારણ પર પહેલીવાર ખૂબ સારી ચર્ચામાં જો કોઈ ફિલ્મ આવી હોય તો એ હતી ’આંધી. સુચિત્રા સેન, સંજીવ કુમારને લઈને બનાવેલી ફિલ્મમાં સુચિત્રા સેન એક પક્ષની લીડર છે. મૂળ વાત તો પ્રેમ કહાની જ છે પણ સુચિત્રા સેનનો દેખાવ એકદમ ઇંદિરા ગાંધી જેવો બનાવવામાં આવ્યો. સમય હતો ૧૯૭૫ એટલે કે ઇમર્જન્સીનો અને એમાં પણ જો ઇંદિરાજીને વણી લેવામાં આવે તો થોડો હોબાળો થવાનો જ હતો. એક સમયે આ ફિલ્મ પર રોક લગાવી દેવામાં આવી અને વાતાવરણ શાંત થયા પછી ૧૯૭૭માં ફરી રીલીઝ કરવામાં આવી. ગુલઝારે પોતાની રીતે બચાવની ઘણી કોશિશ કરી પણ સત્તા આગળ બધા જ વામણા. ગુલઝારે જ્યારે ’આંધીનું નિર્માણ હાથમાં લીધું ત્યારે કદાચ કોઈ કોન્ટ્રાવર્સી ધ્યાનમાં લઈને નહીં જ કર્યું હોય કેમ કે એ સમયે આવી સસ્તી પ્રસિધ્ધીની નિર્માતાઓને જરૂર પડતી નહીં. અત્યારના સમયમાં આવી કોન્ટ્રાવર્સી થતી હોય તો એને પ્રાધાન્ય આપવામાં આવે છે. જો વાંચકોએ ’આંધી ન જોઈ હોય તો જોઈ લેવી. આ ફિલ્મમાં ગુલઝારના ગીતો આજની તારીખ સુધી કર્ણપ્રિય છે. ૧૯૭૭માં ફિલ્મની સફળતા જોઈને અનેક લોકો પોલીટીક્સ પર ફિલ્મ બનાવવા આગળ આવ્યા. ૧૯૭૫માં જ ફિલ્મનું નિર્માણ અમ્રીત નહાટાએ કરી દીધું. ફિલ્મ હતી ’કિસ્સા કુર્સી કા.  શબાના આઝમી, રાજ બબ્બર, મનોહર સિંહ, રહેના સુલતાન, ઉત્પલ દત્ત વિગેરેને લઈને બનેલી આ ફિલ્મ પણ માણવા જેવી હતી. આ ફિલ્મમાં સીધો કટાક્ષ કરવાને બદલે વ્યંગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એ સમયે ચાલતી એક કાર્ટૂન શ્રેણી ’નેતાજી પરથી આ ફિલ્મનો વિચાર શરૂ થયેલો. અમ્રીત નહાટાની ઇચ્છા તો હતી કે આ ફિલ્મ પર થોડી બબાલ થાય પણ એવું કંઈ જ ન થયું. આ પાછળનું કારણ હતું કે ફિલ્મ સીધેસીધુ કોઈ પર નિશાન તાકતી ન હતી. ફિલ્મની વાત ઓવર ઓલ સીસ્ટમ પરનો કટાક્ષ હતી. ગમે તે હોય પણ આ ફિલ્મ પછી નિર્માતા-નિર્દેશકોની હિંમત ખૂલવા લાગી અને રાજકારણ પર ખુલ્લા હાથે વ્યંગ કરી શકાય એવો કોન્ફીડન્સ વધ્યો. જરૂરી નથી કે દરેક પોલીટીક્સ પરની ફિલ્મ લોકો પસંદ કરે જ તો પણ આ પછી લગભગ બધી જ ફિલ્મ્સમાં કોઈને કોઈ નેતાનું પાત્ર આવવા લાગ્યું. આ પહેલા બ્લેક & વ્હાઇટના જમાનામાં પણ નેતાઓ આવતા જ પણ એક લાંબા ગાળા પછી સાવ પોલીટીકલ પાત્રો ઊપજવા લાગ્યા.

        સમય સાથે પોલીટીક્સ પર ફિલ્મ્સ પણ બનતી રહી અને કોઈ ને કોઈ પાત્ર પણ ફિલ્મમાં એક નેતા તરીકે આવતું જ રહ્યું પણ જેમ જેમ સિનેમાનો વિકાસ થતો ગયો એમ એમ ફિલ્મ સાથે પોલીટીકલ ઇશ્યુઝ પણ જોડાવા લાગ્યા. મલયાલમ સિનેમાં એ ઘણી બધી પોલીટીકલ ઇશ્યુ પર ફિલ્મ્સ બનાવી અને મલ્લુ પ્રજાએ ખાસ પસંદ પણ કરી તો પણ હિન્દી મૂવીઝ માટે ફરી એક ફૂટમાર્ક ફિલ્મ આપવાનું સાહસ ગુલઝારે જ કર્યું. ૧૯૯૯માં ’હુ તુ તુ ટાઇટલ સાથે ગુલઝારે ફિલ્મ આપી. તબુ, સુનીલ શેટ્ટી, નાના પાટેકરને લઈને પ્યૉર પોલીટીકલ સબ્જેક્ટ પર બનેલી ફિલ્મ જો ન જોઈ હોય તો જોઈ જ લેવી. મારી દ્રષ્ટિએ આ ફિલ્મ સાથે લોકોને ગંદા પોલીટીક્સ વિષે ખ્યાલ આવતો થયો. એક અદભૂત વાર્તા, અદભૂત ડિરેક્શન અને લાજવાબ એક્ટીંગથી ભરેલી આ ફિલ્મ જોતા તમને ખ્યાલ આવી જશે કે પછાત વર્ગનું રાજકારણ શું છે. પૈસા શું છે, પાવર શું છે. બોક્ષ ઓફીસ પર સારી ફિલ્મ્સ ઓછી ચાલે છે એટલે ’ હુ તુ તુ ને ખાસ પ્રોત્સાહન નહોતું મળ્યું પણ એક ઇન્ડસ્ટ્રી માટે આ ફિલ્મ ટર્નીંગ પોઇન્ટ ચોક્કસ લાવી શકી. આ પછી પોલીટીક્સની જ આડ અસર એટલે માવવાદી સંગઠન. આ વિષય પર એક ફિલ્મ બની ’લાલ સલામ. ૨૦૦૨માં રીલીઝ થયેલી આ ફિલ્મ પણ બોક્ષ ઓફીસ પર ખાસ ધંધો ન કરી શકી પણ એક ઇન્ટલ ઍકચ્યુઅલ વર્ગનું ધ્યાન ખેંચવામાં ચોક્કસ સફળ રહી. નંદીતાદાસના ખરા અભિનયનો પરિચય કદાચ તમને આ ફિલ્મમાં મળશે. નક્સલાઇટ માટે તો જેટલી વાત કરો એટલી ઓછી તો પણ ’લાલ સલામમાં ઘણા ખરા મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે. અહીં એક ફિલ્મ જે આમ તો તાજેતરનું છે પણ રાજકારણનો જ એક ભાગ છે એટલે ૨૦૧૧ના ’જય બોલો તેલંગાનાને યાદ કરી લઈએ. આમ તો તેલુગુ ફિલ્મ છે પણ મેટ્રો સીટીઝમાં હિન્દી ડબ થયેલી આ ફિલ્મને ખાસ્સી વખાણવામાં આવી હતી.

        અગાઉ વાત થઈ એ મુજબ આપણે કરવાનું કામ જ્યારે હીરો કરે ત્યારે આપણે ખૂબ રાજી થઈને સીટીઓ કે તાલીઓ વગાડીએ છીએ. આવું જ એક ફિલ્મ ’નાયક ભલે સાઉથના ફિલ્મની રીમેક હતી પણ અનીલ કપૂર, અમરીશ પૂરીના આ ફિલ્મને ૨૦૦૧માં ખૂબ સારી સફળતા મળી હતી. એક સામાન્ય પત્રકાર અનીલ કપૂર એક દિવસ માટે મુખ્યમંત્રી બને છે અને જે રીતે આખી સીસ્ટમને સુધારે છે એ જોઈને લોકો આફરીન પોકારી ગયા હતા. હજુ પણ કેટલીક ટેલિવિઝન ચેનલ પર આ ફિલ્મ આવતું હોય તો અટકી જવાય છે. અહીં રવિના ટંડન અને અતુલ કુલકર્ણીની ’સત્તાને પણ યાદ કરવી જ પડે. ૨૦૦૩માં રીલીઝ થયેલી આ ફિલ્મમાં પહેલીવાર કોઈ મહિલાને સત્તા માટે રમત રમતી બતાવવામાં આવી છે. વાર્તાનું મૂળ તો સ્ત્રીનો બદલો જ છે પણ સત્તા માટે ચાલતી રમત, લોકોનો ઉપયોગ માણવા લાયક છે. રાજકારણમાં ફેરફારો સાથે બધા લોકોએ જેમ યુવાનો પર ધ્યાન કેન્દ્રીત કરવાનું શરૂ કર્યું એમ જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને પણ ખ્યાલ આવી ગયો કે યુવાનો અને પોલીટીક્સને જોડીને એકાદ ફિલ્મ બનાવવી જોઈએ. ૨૦૦૪માં ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ખૂબ જાણીતા નિર્માતા નિર્દેશક મણીરત્નમે ’યુવા બનાવી. ’યુવા એક અનોખી ફિલ્મ સાબિત થઈ. મને પહેલીવાર ખબર પડી કે અભિષેક બચ્ચનને એક્ટીંગ પણ આવડે છે! અહીં પણ એ નોંધવું જ રહ્યું કે આ ફિલ્મ પણ ખાસ નફો કરી શકી ન હતી. કોઈ ખાસ વ્યક્તિને ધ્યાનમાં રાખીને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ ઓછી ફિલ્મ્સ બને છે પણ રામગોપાલ વર્માએ આવી શરૂઆત કરી ’સરકાર ફિલ્મથી. ૨૦૦૫માં બાલા સાહેબ ઠાકરેને ધ્યાનમાં રાખીને અમિતાભ બચ્ચનને આ પાત્ર આપવામાં આવ્યું. બચ્ચન માટે તો કશું કહેવું જ ક્યાં પડે? કોઈ પણ પાત્રને જીવતું કરવાની તાકાત ધરાવતા બચ્ચન સાહેબના વખાણ બાલાસાહેબ ઠાકરે એ પણ કરવા પડ્યા. આ ફિલ્મની સફળતા પછી આ જ ફિલ્મની સીક્વલ ’સરકાર રાજ ૨૦૦૮માં આવી. મને ’સરકાર રાજ ’સરકાર કરતા વધારે ગમી હતી. ’સરકારની ઘણી ક્ષતિઓ આ ફિલ્મમાં દૂર કરવામાં આવી હતી.

        પોલીટીક્સ પર મને ગમેલી ફિલ્મ છે ’ગુલાલ. ૨૦૦૯માં રીલીઝ થયેલી આ ફિલ્મના આ પહેલા પણ હું વખાણ કરી ચૂક્યો છું એટલે અહીં એટલું જ કહીશ કે ’વાહ અનુરાગ વાહ. ૨૦૧૦માં ’રાજનીતિ અને ’રણ બે ફિલ્મ્સ પોલીટીક્સ પર આવી. બોક્ષ ઓફીસની દ્રષ્ટિએ ’રાજનીતિ ખૂબ સફળ રહી. મોટા ભાગના ક્રીટીક્સ આ ફિલ્મ વખાણી ચૂક્યા છે પણ મને એક સામાન્ય વાત લાગી. એવી જ રીતે અમિતાભ બચ્ચન હોવા છતા ’રણ સફળ ન રહી.. ફરી એક એવી જ નિષ્ફળ ફિલ્મ રહી ૨૦૧૧માં ’આરક્ષણ. અમિતાભ અને શૈફને લઈને પછાત વર્ગ માટેની ખાસ ફિલ્મ પણ નબળા ડિરેક્શન, નબળા સ્ક્રીનપ્લેને લીધે ખૂબ જ સ્ટ્રોંગ વિષય હોવા છતા સુપર ફ્લોપ રહેલી.

        એવી કેટલીએ ફિલ્મ્સ હશે જેનો ઉલ્લેખ રહી ગયો હશો તો સુજ્ઞ વાંચકો તમે મને જણાવી શકો છો. ક્યારેક સમય મળ્યે રહી ગયેલી ફિલ્મ્સની પણ ચર્ચા કરીશું.



પેકઅપ:
"૧૦/૧૦/’૧૦ હોય, ૧૧/૧૧/'૧૧ હોય કે ૧૨/૧૨/’૧૨ હોય ૩૬-૨૪-૩૬ ને કોઈ હરાવી શક્યું નથી"

Friday, 7 December 2012

ખિલાડી ૭૮૬: હવે વધુ ખિલાડી સહન થાય એમ નથી



ખિલાડી ૭૮૬: હવે વધુ ખિલાડી સહન થાય એમ નથી





        સમય મુજબ લોકોનો ફિલ્મ ગમવાનો ટેસ્ટ બદલાતો જાય છે. એક સમય એવો હતો કે જ્યારે ભગવાન વગરના વિષયની ફિલ્મ બનાવવા માટે વિચાર પણ કરી શકાતો નહોતો. આ પછીનો સમય આવ્યો નૈતિક મૂલ્યોની વાતનો. એક ફેમીલીમાં એક બગડેલો છોકરો અને એક સારો છોકરો અથવા માં-બાપ પર વહુ દ્વારા થતા અત્યાચાર અથવા સત્ય સામે લડતો માણસ. આ પછી દેશપ્રેમની વાતો પર ફિલ્મ્સ બનવા લાગી. એ પછી લવ સ્ટોરી, હોરર સ્ટોરી જેવી અનેક પ્રકારની ફિલ્મ્સ આવતી થઈ પણ છેલ્લા કેટલાક સમયથી એક નવો ટ્રેન્ડ શરૂ થયો કે ફિલ્મ એક્શનથી ભરપૂર હોવી જોઇએ. એક્શન માટે સાઉથની ફિલ્મ્સ પ્રખ્યાત એટલે સાઉથની રીમેકનો જમાનો આવ્યો પણ બોલીવુડ પોતાની રીતે મૂવી ન બનાવે તો કેમ ચાલે? અને જ્યારે એક્શનની વાત આવે તો અક્ષય કુમારને કેમ ભૂલી શકાય? આવા જ બધા વિચારો વચ્ચે બનેલી ફિલ્મ એટલે ’ખિલાડી ૭૮૬ અક્ષય કુમાર માટે જાણે ખિલાડી શબ્દ પેટન્ટ થઈ ગયો હોય એવું લાગે છે. આ પહેલા પણ અક્ષયની ’ખિલાડી, ’મૈં ખિલાડી, તું અનાડી, ’સબ સે બડા ખિલાડી, ’ખિલાડીયોં કા ખિલાડી, ’મીસ્ટર એન્ડ મી્સીસ ખિલાડી, ’ઇન્ટરનેશનલ ખિલાડી, ’ખિલાડી ૪૨૦ આ આઠ ફિલ્મ્સ સહન કર્યા પછી વધારાની સહન શક્તિ એટલે ’ખિલાડી ૭૮૬. આ વખતે અક્ષયને કહેવું જ પડશે કે બસ હવે વધુ ખિલાડી સહન નહીં થઈ શકે



        અક્ષય કુમારે પોતાનું પ્રોડક્શન શરૂ કરતાની સાથે જ ’ઓહ માય ગોડથી સફળતાનો સ્વાદ ચાખી લીધો છે એટલે આ ફિલ્મમાં પણ ટ્વીંકલ ખન્નાનું પ્રોડ્યુસરમાં નામ મૂકીને જુગાર રમી જોયો. ફિલ્મના અન્ય પ્રોડ્યુસરમાં સુનીલ લુલ્લા સાથે હ્રીમેશ રેશમીયા પણ છે. હ્રીમેશભાઈ આમ તો પોતાની ફિલ્મ્સ હીટ કરાવી શક્યા નથી તો એમને થયુ હશે કે અક્ષય અત્યારે ગાજતી બ્રાન્ડ છે તો એકાદ રોટલી હું પણ શેકી લઉં. આ ઉપરાંત અક્ષય સાથે એક્ટીંગ પણ કરવા મળશે એટલે ભાઈને હીરો તરીકે નહીં તો સાઇડ રોલમાં પણ કોક જોશે તો ખરું. મ્યુઝિક પણ હ્રિમેશનું જ છે. વચ્ચે ખાસ્સા લાંબા સમય સુધી હ્રિમેશને કોઈ મ્યુઝિક આપતું નહીં અને અચાનક બે-ત્રણ સારા ગીતો મળી ગયા સાથે ફરી માર્કેટમાં આવી ગયો પણ આ ફિલ્મમાં એક પણ ગીત લાંબું ટકે એવું નથી કે નથી કર્ણપ્રિય, ફરી એ જ નાક માંથી નીકળતો અવાજ આવી ગયો છે. કદાચ હ્રિમેશે ફરી નાકનું ઓપરેશન ન કરાવવું પડે તો સારુ!



        ફિલ્મના કાસ્ટિંગ માટે પણ ઓછા પાપડ નથી શેક્યા. ફિલ્મમાં હ્રિમેશના પપ્પાનું પાત્ર પરેશ રાવલ ભજવવાના હતા પણ ડેટ્સનો મેળ ન પડતા આ પાત્ર મનોજ જોશી એ કરવું પડ્યું. આ રીતે જ ફિલ્મમાં અસીનના ભાઈનું પાત્ર અમિતાભ બચ્ચન ભજવવાના હતા પણ મીથુન ચક્રવર્તીને છેલ્લે પસંદ કરવામાં આવ્યા. આમ તો બચ્ચન સાહેબ પાસે ડેટ્સ ન હતી એવું કહેવામાં આવ્યું છે પણ અંદરની વાતમાં એવું જાણવા મળ્યું છે કે બચ્ચન સાહેબે સ્ટોરી વાંચીને કામ કરવાની ના પાડી હતી. ગમે તેમ હોય પણ મીથુન દા જતી ઉમરે કૉમેડી ફિલ્મ્સમાં પોતાનું સ્થાન જમાવી ચૂક્યા છે. એ રીતે જ હીરોઇન માટે ઇલેના ડીકૃઝ, નરગીશ ફખ્રી, ડાયના પેન્ટીના નામો આવ્યા હતા પણ છેલ્લે પસંદગી અસીન પર અટકી. કૉમેડી હોય એટલે અમુક કલાકારો તો ફરજિયાત જોઈએ જ જેમ કે સંજય મિશ્રા. ફિલ્મમાં હ્રિમેશના મિત્ર જીવનનું કૅરેક્ટર કરનાર સંજય લગભગ બધી જ કૉમેડી ફિલ્મ્સમાં હોય જ. કલાકારોનો ખૂબ મોટો કાફલો છે અને ધરાર હસાવવાની પૂરતી કોશિશ પણ કરવામાં આવી છે એમ છતા રાજ બબ્બર જેવો કલાકાર પણ ફિલ્મમાં વેડફી નાખવામાં આવ્યો છે. ફિલ્મમાં બધાનું ધ્યાન ખેંચવામાં ગુરપ્રીત ગુગ્ગી સફળ રહ્યો. ફિલ્મમાં અક્ષયનો મિત્ર એટલે ગુરપ્રીત. આ રીતે જ રાહુલ સીંઘ કેટલી બધી એક કક્ષાની ફિલ્મ્સ કરી ચૂક્યો છે. ’ઝુબેદાથી પોતાની કેરિયરની શરૂઆત કરનાર રાહુલ જો શ્યામ બેનેગલનો ખાસ કલાકાર બની શક્યો હોય તો પોતાનું કામ યોગ્ય કરી શકે એમાં કોઈ નવાઈ નથી. આ ફિલ્મમાં રાહુલ અસીનના પ્રેમી ગુંડાનું પાત્ર ભજવે છે. હૈદરાબાદી ટોનમાં બોલતો રાહુલ સહન થઈ શક્યો છે.



        આશિશ આર. મોહનનું આ પહેલું ફિલ્મ છે. જો કે એમનું પહેલું ફિલ્મ છે એ તમે ફિલ્મ જોઈને સમજી જ શકશો. આ પહેલા ઘણી બધી કૉમેડી ઝોનરની ફિલ્મ્સમાં આશિશ આસિસ્ટન્ટ ડિરેક્ટર રહી ચૂક્યા છે. જેમ કે ’ગોલમાલ ૩, ’ગોલમાલ રીટર્નસ, ’ઓલ ધ બેસ્ટ વિગેરે. પણ અહીં એક વાત નોંધવી પડે કે આસિસ્ટન્ટશીપ કરવાથી ક્યારેય ડિરેક્શન શીખી નથી શકાતું. એકાદ ફિલ્મ તો કરવી જ પડે અને પૂરો અનુભવ ભેગો કરવો પડે તો જ આવનારી ફિલ્મ્સમાં સારો દેખાવ કરી શકાય. ફિલ્મમાં એ જ અક્ષય કુમાર છે, એ રીતે જ એક્શન છે, એ રીતે જ સારી સિનેમેટોગ્રાફી પણ છે અને જાલ શિંઘ નિજ્જારનું એક્શન પણ છે પણ ડિરેક્શનમાં દેખીતી ખામીને લીધે કંઈ પણ જામ્યું નહીં. અત્યારના સંજોગોમાં જ્યારે એક્શન અને કૉમેડી પૂર જોશમાં ચાલતી હોય ત્યારે પણ ખિલાડી ૭૮૬ જો જામે નહીં તો કોને દોષ દેવો? એક સમયે ગોવિંદાના ફિલ્મ્સની જેમ મગજ મૂકીને ફિલ્મ જોઈએ એમ આ ફિલ્મને મગજ મૂકીને જ જોઈએ તો પણ ફિલ્મમાં જરા પણ મઝા ન આવે. તો પણ આપણી ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રી ધીમેધીમે ફોરેન ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પગલે ચાલતી થઈ ગઈ જ છે. વધુમાં વધુ ટૉકીઝમાં રીલીઝ કરવાનું અને વધુમાં વધુ શો લેવાના જેથી થોડા દિવસનું કલેક્શન જ ફિલ્મનો ખર્ચ કાઢી આપે. ખિલાડી ૭૮૬ પણ આ ફૉર્મ્યુલા પર જ રીલીઝ કરવામાં આવ્યું છે. લગભગ ૨૮૦૦ ટૉકીઝ રીલીઝ કરવામાં આવ્યું છે અને એવરેજ  ૫ શો મળ્યા છે. આવું કરવા માટે જ ફિલ્મનું રીલીઝ દિવાળી સમયે નક્કી હતું પણ રીલીઝ તો ત્યારે જ કરવામાં આવ્યું જ્યારે આટલી બધી ટૉકીઝ મળે અને એ દરમિયાનમાં કોઈ મોટું ફિલ્મ રીલીઝ ન થતું હોય.



        ફિલ્મની કથા જૂની અને જાણીતી છે. મીથુન ચક્રવર્તીએ તેની બહેન અસીનના લગ્ન કરવા છે પણ મુરતિયો ખાનદાની જોઈ છે. બીજી તરફ નકલી પોલીસ બનીને અક્ષય કુમાર છે જે ટ્રક પકડીને પોલીસને આપે છે અને પોતાનો અડધો ભાગ પોતે રાખી લે છે. હ્રિમેશ રેશમીયાનું ખાનદાની કામ છે લગ્ન કરાવવા પણ દરેક વખતે ગોટાળા સર્જતા હોવાના લીધે ઘર માંથી કાઢી નાખવામાં આવે છે. હ્રિમેશ માટે એક લગ્ન કરાવવા ખૂબ જ જરૂરી થઈ ગયા છે એટલે ગમે તેમ કરીને અક્ષય અને અસીનનું ચોકઠું ગોઠવવાની તજવીજ હાથ ધરે છે. હવે આ તરફ અક્ષયનું ખાનદાન પોલીસ છે એવું માનવાને લીધે મીથુન ડોન હોવા છતા એને એ.સી.પી. બનાવવામાં આવે. આ બધા જ ગોટાળાઓ વચ્ચે ચાલતી ફિલ્મમાં એક પણ ખરા અર્થમાં કહી શકાય એવી કૉમેડી સિક્વન્સ ન બની શકી. કોઈ પણ કારણ વગર અચાનક આવી જતી એક્શન પણ માથુ ફેરવવા માટે પૂરતું છે. સૌથી મોટું આશ્ચર્ય તો એ છે કે ફિલ્મના અંતમાં મીથુન એવું કહે છે કે ખાનદાન સારુ હોવા માટે કુટુંબમાં પ્રેમ હોવો જરૂરી છે અને આ ખાનદાનમાં ખૂબ પ્રેમ છે. હવે મને પ્રશ્ન એ થયો કે ખાનદાનમાં પ્રેમ હોય અને પછી ભલે ગમે તેવા ખરાબ કામ કરતા હોય પણ ખાનદાનમાં પ્રેમ હોય એટલે સારુ ખાનદાન કહેવાય! ફિલ્મમાં સૌથી સારી વાત એ રહી કે અક્ષયનું ખાનદાન અલગ અલગ દેશની વ્યક્તિઓથી ભરેલુ છે. દાદી આફ્રિકન, કાકી ચાઇનીઝ અને ખાનદાન પંજાબી. દરેક કોમ્યુનીટીના દર્શકો પકડવા પંજાબ, ગુજરાત ઉપરાંત મુસ્લિમ માટે ૭૮૬ નંબર. હવે જોઈએ કોણ આ ફિલ્મને ઉગારે છે!




પેકઅપ:

"એકતા કપૂર સની લીયોનને લઈને ’રાગીણી એમ.એમ.એસ.-2’ બનાવી રહી છે...
જેની આખી ફિલ્મ બજારમાં મળતી હોય એના એમ.એમ.એસ. માં કોને રસ પડે?"

Friday, 30 November 2012

તલાશ: ક્યારેક મી. પર્ફેક્ટ પણ ભૂલ ખાઈ શકે!


        

        

         માણસના જીવનમાં કેટકેટલી ઘટનાઓ બનતી હોય છે. ક્યારેક કોઈકના જીવનમાં બનતી ઘટના એકદમ સામાન્ય હોય છે તો ક્યાંક બનતી ઘટના જીવનમાં ઝંઝાવાત ફેલાવવા માટે પૂરતી હોય છે. લેખકનું કામ છે આવી અલગ અલગ ઘટનાઓને એકઠી કરીને એક વાત બનાવવી. અલગ અલગ ઘટનાઓ એક ભાગમાં જોડાય ત્યારે આપણે એને વાર્તા કહીએ છીએ. ફિલ્મની ભાષામાં કહીએ તો સ્ટોરીલાઇન. આ સ્ટોરીલાઇનને સ્ક્રીનપ્લેમાં ગોઠવવામાં આવે અને પછી સંવાદ એટલે કે ડાયલોગથી સજાવવામાં આવે. ગમે તેટલા સારા ડાયલૉગ હોય પણ જો ફિલ્મની વાત જ ગળે ઉતરે એવી ન હોય તો? વાર્તા પસંદ કરવામાં આમીર ખાનનો કોઈ જોટો જ ન મળે. આમ પણ આમીર જ્યારે ફિલ્મ કરતો હોય ત્યારે તો એક એક વાત પર એ નજર રાખે. આ કારણોથી જ આમીરને મી. પર્ફેક્ટનીશ કહેવામાં આવે છે પણ ’તલાશ’ની વાર્તા માટે એટલું તો કહેવું જ પડે કે ક્યારેક મી. પર્ફેક્ટ પણ ભૂલ ખાઈ શકે!

        
       રીમા કાગ્તી એટલે ઝોયા અખ્તરની ખાસ મિત્ર. આ પહેલા ’હનીમૂન ટ્રાવેલ્સ પ્રા.લી’ ડિરેક્ટ કરી ચૂકી છે. આ વાર્તા આમ તો વર્ષો પહેલા ઝોયા અને રીમા બંને મળીને લખી ચૂક્યા હતા. રીમાના કહેવા મુજબ આ ફિલ્મ માટે મુખ્યપાત્રની પસંદગીમાં સૌથી પહેલો વિચાર આમીર ખાનનો જ હતો પણ આમીર એ વખતે ’ગઝની’ માટે પોતાનો સમય ફાળવી ચૂક્યો હતો. આ પછી રીમા સૈફ અલી ખાન પાસે ગઈ પણ સૈફ પણ પોતાના કામમાં વ્યસ્ત હતો. આમીર ’ગઝની’ પછી ઘરની ફિલ્મ ’ધોબીઘાટ’માં ધોબીપછાડ ખાવાની તૈયારીઓમાં હતો એટલે ફરી આ ફિલ્મ માટે ’ના’ આવી. આમ પણ ફિલ્મ ચાલવા માટે યોગ્ય કલાકારની પસંદગી એ સૌથી મહત્વનું પાંસુ છે. હમણાં જ એક ફિલ્મ શૂટ લેવલ પર છે ’શોભાઝ સેવન નાઇટ્સ’ જે ફિલ્મ ગ્રેટ કોલમીસ્ટ શોભા ડે ના જીવન પર આધારિત છે. આ માટે ખૂબ બધી તપાસના અંતે રવિના ટંડનને શોભા ડે તરીકે રજૂ કરવામાં આવી છે. ફરી મૂળ વાત પર પાછાં ફરીએ. આમીર ’ધોબીઘાટ’ પછી ફ્રી થયો અને રીમાને સ્ટોરી ટેલીંગ માટે બોલાવવામાં આવી. આમીરને વાર્તા પસંદ આવી અને પછી શરૂ થયો પસંદગીનો દોર. ફિલ્મમાં થોડા ઘણા ફેરફાર પણ કરવામાં આવ્યા. ડાયલૉગ લખવાનું કામ ફરહાન અખ્તરને સોંપવામાં આવ્યું અને એમ છતા સંતોષ ન થતા વધારાના ડાયલૉગ અનુરાગ કશ્યપ પાસે લખાવવામાં આવ્યા. સૌથી મહત્વની વાત તો એ રહી કે પૂરેપૂરી ટીમ નક્કી થયા પછી બધા પાસે નોન-ડીસક્લોઝર એગ્રીમેન્ટ સાઇન કરાવવામાં આવ્યા જેથી ફિલ્મની વાર્તા ક્યાંય લીક ન થઈ જાય.


        આમીરે આ ફિલ્મ માટે તમામ મહેનત કરી. જેમ કે એક્ટીંગના ખાસ વર્કશોપ ગોઠવવામાં આવ્યા. બધા જ આર્ટીસ્ટ્સ ફરજિયાત આ વર્કશોપ એટેન્ડ કરતા. આમીર પોતે સ્વીમીંગ જાણે જ છે છતા આ ફિલ્મ માટે એક ખાસ સ્વિમીંગ કોચ રાખીને અંડર વોટર સ્વીમીંગ પ્રેક્ટીસ કરી અને એ પણ પૂરા ત્રણ મહીના. આ દ્ગશ્યો ભારતમાં ફિલ્માવવામાં આવ્યા પણ આમીરને એ યોગ્ય ન લાગતા અંડર વોટર દ્ગશ્યોને વોટર સ્ટુડિયો લંડન ખાતે ફરીથી શૂટ કરવામાં આવ્યા. ફિલ્મ કલાકારો ગમે તેટલી વાત કરતા હોય પણ અંતે તો ધાર્મિક જ હોય છે. જેમ કે હમણાં જ અનુપમ ખેર, હ્રિતેષ દેશમુખ, રવિના ટંડન, અનીલ કપૂર અને સોનમ કપૂર દલાઈ લામાના આશીર્વાદ લેવા પહોંચી ગયા હતા અને બધે જ દલાઈ લામાની મીઠી ભાષા, જ્ઞાન વિગેરેના વખાણ કરતા ફરે છે. આ રીતે જ આ ફિલ્મ રજૂ થતા પહેલા આમીર એની મમ્મીને લઈને હજ પઢી આવ્યો. આ ફિલ્મ આમીરના જતા પહેલા રીલીઝ કરવાનું પ્લાનિંગ હતું પણ અટકાવી દેવામાં આવ્યું. આ ઉપરાંત સી.આઇ.ડી. જેવી ખરાબ સિરિયલમાં પણ એક પાત્ર તરીકે આવીને ફિલ્મનું પ્રમોશન કરી ગયો. આમીરને સી.આઇ.ડી. માં જોઈને એક વિચાર તો આવ્યો જ ’દયા કુછ તો ગરબડ હૈં’


        ’તલાશ’ ૨૦૧૨ની સૌથી મોસ્ટ અવેઇટેડ ફિલ્મ હતી. આ પહેલા જેમ ’ડોન ૨’ અને ’એક થા ટાઇગર’ માટે એક હાઇપ ઊભો થયો હતો એમ જ આ ફિલ્મ માટે પણ લોકો રાહ જોઈને બેઠાં હતા વળી આ પહેલા બે હથોડા ફિલ્મ્સ ’સન ઑફ સરદાર’ અને ’જબ તક હૈં જાન’ હમણાં જ આવી અને ગઈ ત્યારે ફિલ્મ પ્રેમીઓને ’તલાશ’ માટેની અપેક્ષા વધી ગઈ હતી. ક્રીટીક્સે ગઈ કાલે રાતે જ ફિલ્મ જોઈ હશે એટલે રીવ્યુઝ ફટાફટ છપાવવા લાગ્યા. ઓવરઓલ બધા જ લોકો એક ક્લાસ ફિલ્મ કહી રહ્યા છે પણ ફિલ્મ જોઈને મારુ મંતવ્ય નોખુ રહ્યું. ફિલ્મમાં દરેક બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. જેમ કે ફિલ્મની સિનેમેટોગ્રાફી કે. યુ. મોહનનની છે. જે રીતે રાતના દ્ગશ્યો, મુંબઈના રોડના દ્ગશ્યો, ફિલ્મના કટ્સ, અંડર વોટર સિનેમેટોગ્રાફી બધું જ અદભૂત. આ રીતે જ એક પત્ની તરીકે રાણી મુખર્જી માટે ’અય્યા’ના અતિ ખરાબ રોલ પછી કમબેક કરી શકી છે. કરીના કપૂર અનુભવના અંતે બનેલી હીરોઈન છે એટલે પોતાનું કામ એકદમ સચોટ રીતે રજૂ કરી શકી છે. નવાઝુદ્દીન સીદ્દીકી માટે તો કંઈ કહેવું જ ન પડે. નવાઝુદ્દીનનું ફિલ્મમાં લંગડાનું પાત્ર છે. ભલભલાં મંજાયેલા આર્ટિસ્ટ પણ થાપ ખાઈ જાય પણ નવાઝુદ્દીન જે રીતે પગને લંગડાવે છે એ રીતે જ ભાગવાનું હોય કે ફિલ્મનું કોઈ પણ દ્ગશ્ય હોય એક જ સ્ટાઇલથી પગને લંગડાવે છે. રાજકુમાર યાદવ આમીરના સાથી ઇન્સ્પેક્ટરનું પાત્ર ભજવે છે. આ છોકરામાં ગજબ ટૅલેન્ટ છે. પોતાનું પાત્ર ગમે તે હોય એ યોગ્ય રીતે રજૂ કરી શકે છે. આત્માઓ સાથે વાત કરતી સ્ત્રીના બહુ નાના પાત્રમાં સેનાઝ પટેલ છે. અન્ય ફિલ્મ્સની જેમ સેનાઝને કોઈ ખાસ ડ્રેસિંગ, કોઈ ખાસ સાધન સામગ્રી કે કોઈ પણ રીતે અલગ પાડી વિચિત્ર દેખાડવામાં નથી આવી, કદાચ એટલે જ નાના પાત્રમાં પણ સેનાઝ ધ્યાન ખેંચે છે.


        આટલું બધું સારુ હોવા છતા ફિલ્મને ખરાબ કેમ કહી શકાય? ફિલ્મને ખરાબ નહીં પણ આમીર પાસેથી કોથળા માંથી બિલાડાની અપેક્ષા ન જ રાખી શકાય! જ્યારે મર્ડર મીસ્ટ્રી જેવો સામાન્ય વિષય આમીર ખાન પસંદ કરતો હોય ત્યારે અચાનક જ ફિલ્મને બીજે રસ્તે વાળીને ભૂત પ્રેતની વાતો સાથે જોડી દેવામાં આવે તો કેવું લાગે? આ એક ઉપરાંત એક વાત સમજી જ ન શકાણી કે ડિરેક્ટરે મુખ્ય શું બતાવવું હતું? શું ફિલ્મમાં ડિરેક્ટર આમીર ખાનની માનસિક અસમતુલા બતાવવા માગતી હતી? એક મર્ડર મીસ્ટ્રીને સોલ્વ કરતો એક ડી.સી.પી. દેખાડવા માગતી હતી? ભૂતપ્રેતની વાર્તા બતાવવા માગતી હતી? આત્માઓને ન માનતો આમીર ખાન આત્માને માનવા લાગે એ બતાવવા માગતી હતી? પતિ-પત્ની વચ્ચેના સંબંધોમાં પડેલી તિરાડ બતાવવા માગતી હતી? કે પછી રેડ લાઇટ એરિયામાં છાશવારે બનતી ઘટના બતાવવા માગતી હતી? ફિલ્મ બે છેડેથી ચાલે છે. એક તરફ આમીર ખાન એક હાઇ પ્રોફાઈલ એક્ટરના એક્સીડન્ટની તપાસ કરી રહ્યો છે અને બીજી તરફ આમીરની પત્ની આત્મા સાથે વાતો કરી રહી છે. આખરે બંને વાતોને એક તો થવું જ હતું માટે બીજી તરફ ચાલતી ઘટના એબ્રરપ્ટલી તમને ડીસ્ટર્બ કરતી રહેશે. ગમે તેટલું સસ્પેન્સ છુપાવવાની કોશિશ કરી છે પણ બુધ્ધીશાળી પ્રેક્ષક ઇન્ટરવલથી જ સમજવા લાગે છે કે અહીં કોથળા માંથી બિલાડું જ નીકળવાનું છે. ખૂબ મહેનત, ખૂબ સારી એક્ટીંગ, ખૂબ સારી સિનેમેટોગ્રાફી અને અદભૂત કહી શકાય એવું મ્યુઝિક વચ્ચે એક ખૂબ સારી વાર્તા હોત તો ફિલ્મને ચાર ચાંદ લાગી જાત. જો કે આમીરની કોઈ પણ ફિલ્મ હોય ખોટનો તો પ્રશ્ન જ ઊભો નથી થતો. આ ફિલ્મના નિર્માણનો કુલ ખર્ચ ૪૦ કરોડ થયો જ્યારે પહેલાથી જ રીલાયન્સ એન્ટર્ટાઇન્મેન્ટને ૯૦ કરોડમાં રાઇટ્સ વેચી દેવામાં આવ્યા છે. બોક્ષ ઓફીસ પર ફિલ્મ હીટ જ રહેશે પણ એક ઉમદા દર્શક તરીકે કદાચ તમે દુ:ખી થઈ શકો



પેકઅપ:
"તું છોકરી થઈને દારુ પીવે છે?"
"તો શું બે પેગ માટે જેન્ડર ચેઇન્જ કરાવું?" 

Friday, 23 November 2012

લાઇફ ઑફ પાઇ: અનોખી વાત, અદભૂત ફિલ્મ


        

 આમ જુઓ તો ફિલ્મ એ વાસ્તવિક જિંદગીનો જ એક ભાગ પણ મોટાભાગે એવું બને છે કે વાસ્તવિકતા સ્વીકારવામાં આવતી નથી. ઘણી વાતો એવી હોય કે જે સીધી અને સાચી હોવા છતા ગળે ઊતરતી નથી પણ જો એ જ વાતમાં મોણ નાખીને રજૂ કરવામાં આવે તો ચોક્કસ પણે સ્વીકારવામાં આવે. છેલ્લે લગભગ બધા લોકોએ વખાણેલી ફિલ્મ ’ઓહ માય ગોડમાં પણ મૂળ વાત તો ભગવાનની જ પણ સીધે સીધા દંભની વાત. ’લાઇફ ઑફ પાઇ એટલે ભગવાનની જ વાત પણ આડકતરી રીતે થતી ભગવાનની વાત. એટલો મોટો કટાક્ષ કે બહુ ઓછું ભારતીય ઑડિયન્સ સમજી શકશે કે સ્વીકારી શકશે. એમ છતા પણ એટલું તો સ્વીકારવું જ પડશે કે એક બેજોડ ફિલ્મ એટલે ’લાઇફ ઑફ પાઇ

        ફિલ્મ માટેનો વિષય ક્યાંય અને ક્યાંયથી અવતરતો હોય જ છે અને એમાં પણ નોવેલ એટલે ફિલ્મ માટે એડપ્ટ કરવાનો સૌથી શ્રેષ્ઠ ઉપાય. યાન માર્ટેલે ૨૦૦૧માં ’લાઇફ ઑફ પાઇ નામની નોવેલ પબ્લીશ કરી હતી જેને યુ.કે.ના પાંચ પબ્લીસીંગ હાઉસે આ નોવેલને રીજેક્ટ કરી હતી. આ પાંચ માંથી એક પણ પબ્લિક હાઉસને વાતમાં દમ નહોતો લાગ્યો અને આ નોવેલને છાપવી એટલે સમયનો બગાડ લાગ્યો હતો. આખરે નોફ કેનેડાએ આ નોવેલનો સ્વીકાર કર્યો અને પબ્લીશ કરી. આ પછીના વર્ષમાં આ નોવેલ યુ.કે.માં જ બૂકર્સ પ્રાઇઝ જીતી. આ પછી તો સાઉથ આફ્રિકા, ફ્રાન્સ જેવા ઘણા દેશોમાં પોતાનો ઘંટો વગાડી ચૂકી. જો કે લેખકનું માનવું છે કે આ બૂક લખવા માટે પ્રેરણાશ્રોત બૂક બ્રાઝીલીયન લેખક મોસીર સીલરની બૂક ’મેક્સ એન્ડ કેટ્સ રહી છે જેમાં એક વ્યક્તિ પેસેફીક મહાસાગર પાર કરે છે.


        ફિલ્મ આમ તો અંગ્રેજી ફિલ્મ જ છે પણ નસીબ જોગે વાત એક ભારતના છોકરાની છે એટલે કલાકારો તો ભારતના જ લેવા પડે. ફિલ્મ જે રીતે હિસ્સામાં વહેંચાયેલી છે જેમાં મુખ્ય પાત્રને અલગ અલગ ચાર ઉમરમાં વહેંચવામાં આવી છે. ફિલ્મના આ મુખ્ય પાત્રનું નામ પીસીંગ મોલીટોર પટેલ છે જે નામ ન ગમતા હીરો એક નવી વાત લઈને પોતાનું નામ ’પાઇ કરે છે. વાત જૂના જમાનાની છે. અને વર્ષોની છે. આ ચાર અલગ અલગ પાત્રો અનુક્રમે ગૌતમ બેલુર, આયુષ ટંડન, સુરજ શર્મા અને ઇરફાન ખાને ભજવ્યા છે. ફિલ્મ જ્યારે સર્વોપરી અને શ્રેષ્ઠ બનાવવી હોય ત્યારે જો કાસ્ટિંગ પરફેક્ટ ન હોય તો ફિલ્મ મારી જાય છે. તમને આશ્ચર્ય થશે કે ફિલ્મનું છેલ્લેથી બીજુ પાઇનું પાત્ર ભજવતો સુરજ શર્મા ૩૦૦૦ ઓડીશન આપી ચૂકેલા લોકો માંથી પસંદગી પામ્યો છે. ફિલ્મની શરૂઆત ઇરફાન ખાન જ કરે છે અને પછી વાર્તા ફ્લેશ બેકમાં ચાલે છે. ઇરફાન ખાને હમણાં જ પોતાના એક ઇન્ટર્વ્યૂમાં એક સરસ વાત કરી કે ’મને ભલે બધું મોડું મળે છે પણ સારુ મળે છે. લોકો હજુ સો કરોડની ક્લબની વાતો કરે છે જ્યારે હું તો આઠસો કરોડની ક્લબનો સભ્ય છું વાત પણ સાચી છે આ ફિલ્મનું બજેટ ૧૨૦ મીલિયન યુ.એસ. ડોલર છે એટલે લગભગ ૮૦૦ કરોડ. જો કે ઇરફાન ખાસ ડિરેક્ટર્સનો ખાસ પસંદગીનો સ્ટાર રહ્યો છે. અંગ્રેજી ફિલ્મમાં કામ કરવાનો આ એનો કંઈ પહેલો અનુભવ નથી. આ પહેલા ’ધ વોરિયર, ’અ માઇટી હાર્ટ, ’સ્લમ ડોગ મીલિયોનર અને નાનકડા રોલ માટે ’અમેઝીંગ સ્પાઇડરમેન પણ ખરી. તબુને પણ આ ફિલ્મમાં કાસ્ટ કરવામાં આવી છે. તબુના મતે એને અલગ અલગ પ્રકારના ચેલેજીંગ રોલ્સ મળતા રહ્યા છે તો પણ વસવસો તો ઠાલવે જ છે કે ’હું મસાલા ફિલ્મ્સને મીસ કરુ છું એક ગજબ રીતે ઊભરી રહેલો કલાકાર એટલે અલી હુસેન. અલગ દેખાવ, પ્રભાવશાળી વ્યક્તિત્વ અને અભિનયની પકડ અલી હુસેનને ક્યાં પહોંચાડશે એ તો ભવિષ્ય જ કહેશે પણ આ ફિલ્મમાં પાઇના પિતાના પાત્રમાં આથી સારુ પર્ફોર્મ્ન્સ વિચારી જ ન શકાય.



        ભારતીય કલાકારો અંગ્રેજી ફિલ્મમાં કામ કરે અને અન્ય દેશના લેખકો ભારતની પૄષ્ઠભૂમીનો સ્વીકાર કરે એ અત્યારના સમયમાં સામાન્ય વાત છે પણ અહીં એક વાત યાદ કરી લઈએ કે એક વખતના ધુરંધર કલાકાર ’પ્રાણ પણ અંગ્રેજી ફિલ્મમાં કામ કરી ચૂક્યા છે. મારા જેવા ફિલ્મના શોખીન લોકોએ થોડું કઠ્ઠણ હ્રદય કરી લેવું પડશે કેમ કે પ્રાણની ઉમર અત્યારે ૯૨ વર્ષની છે અને છેલ્લા ત્રણ દિવસથી તેઓ હોસ્પિટલમાં છે. થોડી આડા પાટે વાત કરી લઈએ. બહુ જુજ ફિલ્મમાં કામ કરી ચૂકેલ આશિષ ચૌધરીની બહેન મુંબઈ બ્લાસ્ટમાં પોતાની બહેન ગુમાવી ચૂક્યો હતો. કસાબને ફાંસી અપાતા આશિષ ખુશ થયો હતો અને કહ્યું હતું કે ’હવે મારી બહેનની આત્માને શાંતિ મળશે. એ વાત અલગ છે કે હંમેશા વિવાદાસ્પદ નિવેદનો, ગાળો અને અશ્લીલ વાતો કરતા રામગોપાલ વર્મા એ કહ્યું કે ’કસાબને ફાંસી એટલે ફોરપ્લે વગરનું ઓર્ગેઝમ

        ચાલો ફરી ફિલ્મની વાત પર પાછાં ફરીએ. ફિલ્મને ૩ડીમાં બનાવવામાં આવી છે, કદાચ બધી જ પ્રકારના ઑડિયન્સ પર પકડ જમાવવા માટે પણ મારો અભિપ્રાય સ્પષ્ટ પણે એવું કહે છે કે જો ફિલ્મ ૩ડીમાં નહીં જુઓ તો પણ તમે કંઈ ખાસ ગુમાવશો નહીં. કેમ કે ફિલ્મનું હાર્દ એ ફિલ્મની વાર્તા છે. ફિલ્મની સૌથી નોંધનીય વાત એ છે કે લગભગ ૮૦% ફિલ્મ એક પાત્ર એટલે સુરજ શર્મા-પાઇ અને એક વાઘ જેનું નામ છે ’રીચર્ડ પાર્કર પર ફિલ્માવવામાં આવ્યું છે. માત્ર એક પાત્ર અને ખૂબ જ ઓછા ડાયલૉગ સાથે આટલું લાંબું ફિલ્મ ખેંચી શકાય? પણ તમને એક મીનીટ માટે પણ મહેસુસ નહીં થવા દે કે તમે બોર થાઓ છો. એક એક દ્ગશ્ય તમને પકડી રાખશે. દરિયામાં ઉઠતા તોફાનો વચ્ચે તમે પણ ફંગોળાશો. ટેક્નિકની વાત કરીએ તો મોટાભાગે એનીમેશનથી બનેલુ ફિલ્મ છે. અંગ્રેજી ફિલ્મ્સ હવે ટેબલ મેડ ફિલ્મ્સ જ બની ગઈ છે તો પણ આ ફિલ્મમાં અતિશય સરસ એનીમેશન છે. આ ફિલ્મના એનીમેશનની ખૂબી એ છે કે ફિલ્મનું એક મહત્વનું પાત્ર એટલે કે વાઘ આખેઆખો એનીમેટેડ વાઘ છે!


        ફિલ્મની વાર્તા ત્રણ ભાગમાં વહેંચાયેલી છે. પહેલો ભાગ બાળક પાઈને અને થોડો મોટો થયેલો પાઈ બતાવે છે જેની અંદર ધર્મના બીજ વાવવામાં આવે છે. બાળક માટે બધા જ ભગવાન તરફની લાગણીઓ સરખી છે. હિન્દુ, ખ્રિસ્તી કે ઇસ્લામ ત્રણેય ધર્મ પ્રત્યે સમભાવ રાખતું બાળક જાણતું નથી કે ક્યા ભગવાન, અલ્લાહ કે ગોડ એની સાથે છે. આ પછીનો તબક્કો છે ૧૭ વર્ષના પાઇનો. ૧૭ વર્ષનો પાઇ એક છોકરી સરવંથી સાંઇનાથના પ્રેમમાં પડે છે. આ દરમિયાન જ પુરી ફેમિલી એક નિર્ણય લે છે કે બધા કેનેડા જતા રહીએ. પાઇના પિતા એક ઝુના માલિક છે. બધા જ પ્રાણીઓને લઈને એક જહાજમાં કેનેડા તરફ રવાના થાય છે. રસ્તામાં ખતરનાક તોફાન આવે છે. આ તોફાનમાં પાઇ એક બોટ પર પોતાનો જીવ બચાવવા આવે છે. આ બોટ પર તેની સાથે છે ઝુના પ્રાણીઓ. એક પગ તૂટેલ ઝિબ્રા, એક લોમડી, એક ફીમેલ ચિંપાજી અને એક વાઘ. અહીંથી જિંદગી બચાવવાના ખેલ શરૂ થાય છે. આ દરમિયાન છેલ્લે વધેલ વાઘ અને પાઇ કેટલી બધી તકલીફ પછી મેક્સીકોના કિનારે પહોંચે છે. વાત અહીં પૂરી નથી થતી. ફિલ્મનો જે હાર્દ છે એ છેલ્લે એક લેખકને આ વાત કરતો ઇરફાન ખાન અંતે કહે છે ત્યારે તમે આફરીન પોકારી જશો. પાઇના મગજમાં રહેલા ભગવાન, અલ્લાહ કે ગોડ શું છે એ જાણી જશો. જો તમે ફિલ્મનો અંત સમજી શકશો તો તમને જરૂર થશે કે આથી સરસ વાત જ ન હોઈ શકે. સત્ય અને હકીકત વચ્ચેનો ભેદ માત્ર ટૂંકા શબ્દોમાં અને ટૂંકી વાતમાં અંતમાં રજૂ થાય છે. તમે ભારે હ્રદયે છેલ્લે આખી વાર્તાને મુલાવતા બહાર નીકળશો એની મને પૂરી ખાતરી છે. 



પેકઅપ:
"ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કેટલા મહાપુરુષ પેદા થયા?"
"એક પણ નહીં, બધા જ બાળકો પેદા થયા છે"